નવી દિલ્હીઃ ચાર વર્ષ પહેલાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની જે પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, તેના સપ્લાયર અને ગેંગસ્ટર શકીલ અંસારી ઉર્ફે આદિલની શ્રીગંગાનગર પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગ માટે હથિયારો સપ્લાય કરવાનો આરોપ છે. પોલીસનો દાવો છે કે તે ઘણા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો અને વિવિધ રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી.
પોલીસના જણાવ્યાં અનુસાર, શકીલ અંસારી પંજાબના લુધિયાણાનો રહેવાસી છે. પોલીસ ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો તેને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળી તેના જમણા પગમાં વાગી હતી, જે પછી તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તબીબોના જણાવ્યાં અનુસાર હાલ તેની સ્થિતિ સ્થિર છે અને પોલીસ સુરક્ષા વચ્ચે તેની સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં શકીલ અંસારીનું નામ અનેક ગુનાહિત કેસોમાં સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યાં મુજબ, તે હથિયારો સપ્લાય અને વિવિધ ગેંગના નેટવર્ક સાથે જોડાયેલો છે.
હરિયાણાના પંચકુલામાં તાજેતરમાં થયેલી ફાયરિંગની એક ઘટનાની તપાસમાં શકીલ અંસારીનું નામ સામે આવ્યું હતુ, ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓએ પૂછપરછ દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો. આ જ આધાર પર વિવિધ એજન્સીઓ તેની ગતિવિધિઓની તપાસ કરી રહી હતી.
શ્રીગંગાનગરના પોલીસે જણાવ્યું કે, આરોપી પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સાથે જોડાયેલા ઘણા કેસોમાં વોન્ટેડ છે. તેના આંતરરાજ્ય નેટવર્ક અને સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે પૂછપરછ દરમિયાન હથિયાર સપ્લાય ચેઈન અને ગેંગ નેટવર્ક સાથે જોડાયેલા ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.