પુણેઃ મહારાષ્ટ્રના ગ્રામીણ લોનાવાલા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લોહાગઢ કિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેના મંગેતરને કિલ્લા પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસ તપાસમાં હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે મંગેતર અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
શું છે આખો મામલો ?
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 18 જૂન, 2026 ના રોજ બની હતી. કેતન અગ્રવાલ અને સિયા ગોયલ લગ્ન કરવા જઈ રહ્યા હતા. તેમની ફેબ્રુઆરી 2026 માં સગાઈ થઈ હતી. લોનાવાલા નજીક લોહગઢ કિલ્લાની તેમને મુલાકાત લીધી હતી. સિયા ગોયલે સવારે આશરે 10.30 થી 11.00 વાગ્યાની વચ્ચે પોતાના પરિવાર અને પોલીસને ફોન કરીને જાણ કરી કે કેતન અગ્રવાલ લોહાગઢ કિલ્લા પરથી લપસીને પડી ગયો હતો અને 400 ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું છે. માહિતી મળતાં જ કિલ્લાના સુરક્ષા ગાર્ડ, પોલીસ અને બંનેના પરિવારજનો પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઘટનાના દિવસે જ પોલીસ સ્ટેશનમાં કલમ 194 હેઠળ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા હતા. મૃતક, કેતન અગ્રવાલ, ટ્રેકિંગમાં ખૂબ જ અનુભવી હતો અને વારંવાર ટ્રેકિંગ કરતો હતો. તે અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને પડી ગયો તે દાવો પોલીસને વિશ્વાસમાં ન આવ્યો. કેતનના પરિવારના સભ્યોને આ ઘટના અંગે શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી.
ટેકનિકલ પુરાવા અને ગુપ્ત સ્ત્રોતો દ્વારા રહસ્ય ખુલ્યું
જ્યારે પોલીસે ગુપ્ત સ્ત્રોતો, સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓનો ઉપયોગ કરીને આ મામલાની સંપૂર્ણ તપાસ કરી, ત્યારે સમગ્ર કાવતરું ખુલ્લું પડી ગયું. તપાસમાં જાણવા મળ્યું કે સિયા ગોયલનો ચેતન ચૌધરી નામનો એક મિત્ર હતો. સિયાનો પરિવાર માર્કેટ યાર્ડમાં ધંધો કરે છે, અને ચેતનની નજીકમાં એક દુકાન પણ છે. બંને લગભગ એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા.
સિયા ગોયલ કેતન સાથે લગ્ન કરવા માંગતી ન હતી. સિયા અને ચેતન ચૌધરીએ કેતન અગ્રવાલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. યોજનાના ભાગ રૂપે, તેઓ કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગયા અને તેને ધક્કો મારીને નીચે ફેંકી દીધો અને તેનું મોત થયું.
હત્યાનો કેસ નોંધાયો, બંને આરોપીઓ કસ્ટડીમાં છે
આરોપીઓ વિરુદ્ધ લોનાવાલા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 (હત્યા) અને 61(2) હેઠળ કેસ (ગુના નં. 168/2026) નોંધવામાં આવ્યો છે. પોલીસે સિયા ગોયલ અને ચેતન ચૌધરીને કસ્ટડીમાં લીધા છે અને આરોપીઓએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલી લીધો છે.