ભારતને તમામ મદદ કરવા તૈયાર...ટ્રમ્પે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

10:44 AM Jun 13, 2025 | gujaratpost

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં થયેલા દુ:ખદ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ અકસ્માતને અત્યાર સુધીનો સૌથી ભયાનક હવાઈ અકસ્માત ગણાવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આ અકસ્માત ઉડ્ડયન ઇતિહાસના સૌથી ભયાનક અકસ્માતોમાંનો એક છે. મેં ભારતને કહ્યું છે કે અમે તાત્કાલિક જે કંઈ કરી શકીએ તે કરીશું. ભારત એક મોટો અને મજબૂત દેશ છે, મને ખાતરી છે કે તેઓ આ પરિસ્થિતિને સંભાળી લેશે, પરંતુ અમે અમારા તરફથી દરેક રીતે મદદ કરવા તૈયાર છીએ. ટ્રમ્પે એવું પણ અનુમાન લગાવ્યું હતું કે ક્રેશનું કારણ એન્જિન ફેલિયર હોઈ શકે છે, કારણ કે ક્રેશના વીડિયોમાં વિમાન સામાન્ય રીતે ઉડતું દેખાતું હતું અને એવું લાગતું ન હતું કે વિસ્ફોટ થયો છે.

વિશ્વભરના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

માત્ર ટ્રમ્પ જ નહીં, ઘણા વૈશ્વિક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને હૃદયદ્રાવક ગણાવી અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે અકસ્માતની તસ્વીરોને વિનાશક ગણાવી, જ્યારે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ શોક સંદેશા મોકલ્યા હતા.

ઉડાન ભર્યાની સેકન્ડોમાં જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ

12 જૂન, 2025 ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, ટેકઓફ કર્યાના થોડી સેકેન્ડો પછી ક્રેશ થઈ ગઈ હતી, આ ભયાનક અકસ્માતમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે 241 ના મોત થયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર, બ્રિટિશ મૂળના ભારતીય નાગરિક વિશ્વાસ કુમાર રમેશ બચી ગયા હતા.  

આ અકસ્માતમાં 5 MBBS વિદ્યાર્થીઓ અને એક PG રેસિડેન્ટ ડોક્ટરનું પણ મોત થયું 

એર ઇન્ડિયાની આ ફ્લાઇટ, AI171, અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે રવાના થઈ હતી, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. આમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઉડાન ભર્યાના માત્ર 59 સેકન્ડ પછી, વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલના મેસમાં ક્રેશ થયું હતું, જ્યાં તે સમયે 100 થી વધુ વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા. આ અકસ્માતમાં જમીન પર રહેલા લોકોના પણ મોત થયા હતા, જેમાં પાંચ MBBS વિદ્યાર્થીઓ અને એક PG રેસિડેન્ટ ડૉક્ટરનો સમાવેશ થાય છે. અકસ્માત પછી ભારે ધુમાડો અને આગની જ્વાળાઓ જોવા મળી હતી. લંડનની લાંબી ફ્લાઇટ માટે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઊંચા તાપમાન અને બળતણને કારણે બચાવની શક્યતા ઓછી હતી. તેમ છતાં કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને 41 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યાં છે.

તપાસ અને બોઇંગનું નિવેદન

ભારતના એવિએશન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને બ્રિટનની એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પણ તપાસમાં મદદ કરવા માટે ભારતમાં આવી રહી છે.બોઇંગના સીઈઓ કેલી ઓર્ટબર્ગે શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની કંપની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. આ પહેલી વાર છે જ્યારે બોઇંગ 787 ડ્રીમલાઇનર સંપૂર્ણપણે નાશ પામ્યું છે, જેનાથી બોઇંગની સલામતી અને ગુણવત્તા પર ફરીથી પ્રશ્નો ઉભા થયા છે.

એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપે અકસ્માત પર પ્રતિક્રિયા આપી

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં 241 લોકોનાં મોતની પુષ્ટિ કરી અને એકમાત્ર બચી ગયેલા મુસાફરની સારવાર વિશે માહિતી આપી હતી. એરલાઇને પીડિતોના પરિવારો માટે હેલ્પલાઇન નંબર (1800 5691 444) જારી કર્યો અને દિલ્હી અને મુંબઈથી અમદાવાદ માટે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી છે. એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે દરેક મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર અને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.