પીએમ બેન્જામિન નેતન્યાહૂને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં
ઈરાને ઇઝરાયલ પર 150 મિસાઈલ છોડી
બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ, ઇઝરાયેલના 200 જેટ ઇરાનમાં ત્રાટક્યાં હતા
તેલ અવીવ: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે એકવાર ફરીથી તણાવ વધી ગયો છે. ઈઝરાયેલના હુમલાઓ બાદ ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને અનેક બેલેસ્ટિક મિસાઈલો ઈઝરાયેલ પર છોડી છે. આ સાથે, તેણે અમેરિકા સાથે પરમાણુ કરાર પર વાટાઘાટો કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પાસે હજુ પણ સમય છે. તેમણે ઉમેર્યું, અમે ઈરાનને 60 દિવસનો અલ્ટીમેટમ આપ્યું હતુ અને આજે 61મો દિવસ હતો. આ પહેલા, શુક્રવારે વહેલી સવારે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા અને તેના 20 ટોચના કમાન્ડરોને ઠાર માર્યા હતા. આ હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખનું પણ મોત થયું હતું.
ઇઝરાયેલી લડાકુ વિમાનોએ ઇરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યાં હતા. ઇઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે. ત્યારે ઇઝરાયેલના 'ઓપરેશન રાઇઝિંગ લાયનના જવાબમાં ઈરાને પણ ઓપરેશન 'ટ્રુ પ્રોમિસ 3' શરૂ કર્યું છે. આ અંતર્ગત તેણે મોડી રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. જ્યારે ઇઝરાયેલ પર લેબનોન અને જોર્ડન દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે. તેની બાદ ઇઝરાયેલે ફરીથી ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા.
ઈઝરાયેલની રાષ્ટ્રીય કટોકટી તબીબી, આપત્તિ, એમ્બ્યુલન્સ અને બ્લડ બેંક સેવા, માગન ડેવિડ એડોમે જણાવ્યું કે ઈઝરાયેલ પરના ઈરાની બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે. તેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાની હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાન તરફથી હુમલાના ભયને કારણે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઈઝરાયલેના વિદેશ મંત્રી ગિદોન સા'રે વિદેશ મંત્રી એસ. જયશંકરને ફોન કરીને હાલના ઘટનાક્રમ વિશે જાણકારી આપી હતી, બંને નેતાઓ વચ્ચે આ વાતચીત ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન રાઈઝિંગ લાયનના સંદર્ભમાં થઈ છે. ઈઝરાયેલે ઈરાન સામે 'ઓપરેશન રાઈઝિંગ લાયન' અભિયાન શરૂ કર્યું છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલના વિદેશ મંત્રીએ તેમને ફોન કર્યો હતો. યુરોપના પ્રવાસે નીકળેલા જયશંકર હાલમાં ફ્રાન્સમાં છે. પાછળથી, અન્ય એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે તેમણે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે પણ ટેલિફોન પર વાતચીત કરી હતી.