અમદાવાદઃ રાજ્યમાં હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. ગઈકાલે અમદાવાદના ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યાં બાદ આજે બાપુનગર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા પાંચ જેસીબી મશીન અને આઠથી વધુ હિટાચી મશીન સાથે એક જ દિવસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એક કલાકમાં 100 જેટલા કાચા-પાકા મકાનો અને ઝુંપડા તોડી પાડવામાં આવ્યાં છે. અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલ અંદાજે 400થી વધુ છાપરાં અને નાના-મોટા કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવશે વરસાદને પગલે ડિમોલિશનની કામગીરી મોડી શરૂ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બુધવારે ચંડોળા તળાવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા હતા. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાના કાચા પાકા મકાનો પણ તોડવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અને સેક્ટર 2 જેસીપી તેમજ ઝોન 6 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને 500થી વધુ પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત સાથે ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દરેક ઝોનના અધિકારીને અલગ અલગ ધાર્મિક સ્થાન તોડવાની માહિતી આપી દેવામાં આવી હતી. 5 હિટાચી મશીન, જેસીબી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધાર્મિક સ્થાનો તોડવાની કાર્યવાહી કરી હતી. ગરીબ નવાબ મસ્જિદ ચંડોળામાં સૌથી મોટી મસ્જિદ હતી જેથી તેને સૌથી પહેલા ખાલી કરાવી દેવામાં આવી હતી. જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની ચીજવસ્તુઓ હતી તેને મસ્જિદમાંથી હટાવી લેવામાં આવી હતી.