5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
અમદાવાદઃ ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ આ ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાં છે.
આમ, તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જુન બાદથી જ આવતું હોય છે. પરંતું આ વખતે વાતાવરણમાં એવા પલટા આવ્યાં છે. જેને કારણે ચોમાસું વહેલું આવ્યું છે. સાથે જ આ વર્ષનું ચોમાસું ધોધમાર રહે તેવી પણ આગાહી છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે. તેમ છતાં આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 30 જૂન સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી કરી છે. ઉપરાંત 7 થી 9 જૂન સુધી અંધારીયો વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.