જામનગરઃ લગ્ન માટેની વય વીતિ ગયા બાદ ઘણા યુવકો દલાલોનો સંપર્ક કરતા હોય છે. જેમાં ક્યારેક છેતરપિંડીનો શિકાર બનતા હોય છે. સમાજમાં આબરૂ જવાની બીકથી ઘણા લોકો ફરિયાદ પણ કરતા નથી. જામનગર શહેરના એક રિક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો. યુવકે રૂપિયા 2.30 લાખ ગુમાવ્યાં હતા. પોલીસે ફરિયાદ બાદ લુંટેરી દુલ્હનને શોધી કાઢી હતી, અને તેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં મોકલી દેવાઇ છે. લગ્ને લગ્ને કુંવારી એવી યુવતીએ લગ્ન કરી પૈસા મેળવ્યા બાદ બીજા દિવસે જ ભાગી છૂટી હતી. જે પોલીસના સકંજામાં આવી ગઈ હતી. આ પ્રકરણમાં કુલ 3 આરોપીઓ પકડાયા છે, જ્યારે હજુ રાજકોટની વધુ એક મહિલા દલાલનું નામ ખુલ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતો અને રિક્ષા ચલાવતો ખીમજી બુધાભાઈ મકવાણા નામનો 39 વર્ષનો યુવાન લુંટેરી દુલ્હનનો શિકાર બન્યો હતો, પોતે લગ્ન કરી લીધા બાદ યુવતી બીજા દિવસે જ પૈસા લઈને ભાગી છૂટી હતી. આ મામલે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેને લગ્ન કરવામાં મદદરૂપ થનારા વચેટિયા જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતનનગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલાએ મહારાષ્ટ્રના આકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે સાથે લગ્ન કરાવી આપ્યાં હતા. તેણીએ સૌ પ્રથમ દોઢ લાખ અને ત્યારબાદ બીજા 50,000 મેળવીને લગ્નના બીજે દિવસે જ ભાગી છૂટી હતી. જેથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ દ્વારા બંને વચેટિયા આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 30,000ની રોકડ રકમ કબ્જે કરી લીધી હતી.
આ પ્રકરણમાં રાજકોટની એક મહિલા આરોપીની પણ દલાલની ભૂમિકા સામે આવી હોવાથી પોલીસ દ્વારા તપાસનો દોર રાજકોટ સુધી લંબાવાયો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન રોહિણીએ અગાઉ લગ્ન કરી લીધા છે, પરંતુ પૈસા મેળવવાની લાલચમાં જામનગરના રિક્ષા ચાલક યુવાનને છેતરવાનો પ્લાન કર્યો હતો, અને તેની પાસેથી કુલ બે લાખ રૂપિયાની રકમ લઈને પોતે બસમાં બેસીને ભાગી છૂટી હતી