મૃત્યુઆંક વધવાની શક્યતા
25થી વધુ લોકો ઘાયલ, જૈ પૈકી ત્રણની હાલત અતિ ગંભીર
અમૃતસરઃ પંજાબના મુક્તસરના લંબી હલકા નજીક આવેલા સિંઘેવાલા-ફતુહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા હતા, લગભગ 27 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની બે માળની ઇમારત પળવારમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટના ફેક્ટરીના ફટાકડા બનાવતા યુનિટમાં રાત્રે આશરે 12.30 વાગ્યે બની હતી.
ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કામ ઉત્તર પ્રદેશના હાથરસ નિવાસી કોન્ટ્રાક્ટર રાજકુમારના તાબા હેઠળ થતું હતું. ઘટના બન્યા બાદથી કોન્ટ્રાક્ટર ફરાર છે. ઘટના સ્થળેથી કાર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા મળી આવ્યા છે. કંપનીના ખાલી બોક્સથી ભરેલું છોટા હાથી વાહન પણ મળી આવ્યું હતું.
વિસ્ફોટનો જોરદાર અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોના જણાવ્યા અનુસાર, અહીં બે શિફ્ટમાં લગભગ 40 કર્મચારીઓ કામ કરતા હતા, જેમાંથી કેટલાક પોતાના પરિવારો સાથે અહીં રહેતા હતા. કહેવાય છે કે મોટાભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશ અને બિહારના હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. ઘટના સ્થળે ડેરા સચ્ચા સૌદા સિરસાની ગ્રીન એસ ફોર્સના કાર્યકરો રાહત કાર્યમાં લાગી ગયા હતા અને હાઈડ્રો મશીનની મદદથી કાટમાળ હટાવવાનો શરૂ કર્યો હતો.