અમદાવાદઃ વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મહત્વનો પુરાવો છે. ગુજરાતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વિદેશ જાય છે. સ્ટુડન્ટની સાથે ફરવા જવાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે દર વર્ષે પાસપોર્ટ કઢાવનારા લોકોની સંખ્યા સતત વઘી રહી છે.
મળતી વિગતો પ્રમાણે, વિદેશ મંત્રાલય 14 વર્ષ બાદ પાસપોર્ટની નોર્મલ અને તત્કાલ ફીમાં વધારો કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. જે વર્ષ 2026-27 સુધીમાં લાગુ થાય તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે. હાલ અરજદારો પાસેથી નવા કે રિન્યું પાસપોર્ટની નોર્મલ ફી રૂ. 1500, માઇનોરની રૂ.1000 અને તત્કાલમાં રૂ. 3500 લેવામાં આવી રહી છે. જે વધીને નોર્મલમાં રૂ.2000 થી 2500 અને તત્કાલમાં રૂ 4500 સુધી જ્યારે માઇનોરમાં રૂ.1500થી 2000 સુધી ચુકવવા તૈયાર રહેવું પડશે. એટલે કે તમામ કેટેગરીમાં રુ 500 થી 1000 ફીમાં વધારો થશે.
પાસપોર્ટ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ખર્ચા વધતા પાસપોર્ટની ફી માં વધારો થશે. વિદેશ મંત્રાલયે છેલ્લે પાસપોર્ટની ફીમાં વધારો 1 સપ્ટેબર 2012માં કર્યો હતો, જેમાં નવા કે રિન્યૂં પાસપોર્ટની ફી રૂ. 1000થી વધારી 1500 માઇનોરની 600થી વધારી 1000 કરી હતી, તાત્કાલમાં રૂ.2500થી વધારી 3500 કરી હતી. આમ નોર્મલમાં રૂ. 500, માઇનોરમાં 400 અને તત્કાલમાં રૂ. 1000નો વધારો કર્યો હતો.