અમદાવાદઃ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. મૃતકોમાં 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. ઉપરાંત, વિમાન ક્રેશ થયું તે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં હાજર એમબીબીએસ ડોક્ટરો અને પીજી ડોક્ટરે જીવ ગુમાવ્યો હતો. કુલ 265 લોકોનાં મોત થઇ ગયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે લગભગ 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ એરપોર્ટ પર હાજર છે. મોદી ઘાયલોને મળ્યાં છે અને સ્થિતીની સમીક્ષા કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ ભાજપ નેતા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની મુલાકાત લીધી હતી. રૂપાણી તેમના પરિવારને મળવા લંડન જઈ રહ્યાં હતા. ત્યારે તેમનું મોત થયું હતુ.
ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન, વિમાન દુર્ઘટનાની તપાસ પણ તેજ થઈ છે. સરકારે તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ અમદાવાદ પહોંચ્યાં
એર ઇન્ડિયાના એમડી અને સીઈઓ કેમ્પબેલ વિલ્સન અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે. અહીં તેઓ અકસ્માત સ્થળ પર અકસ્માતના કારણોનો અભ્યાસ કરશે.
ક્ષતિગ્રસ્ત થઇ મેડિકલ કોલેજમાં આવેલી હોસ્ટેલ
આજે સવારે અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત મેડિકલ કોલેજ કેમ્પસનો એક વીડિયો સામે આવ્યો છે. ગુરુવારે બપોરે 242 મુસાફરોને લઈને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કુલ 265 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
મૃતક મુસાફરોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ, એકમાત્ર બચી ગયેલા વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતક મુસાફરોની ઓળખ માટે ડીએનએ નમૂના પણ એકત્રિત કરવામાં આવી રહ્યાં છે.