મારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરશો, સ્યૂસાઈટ નોટ લખીને વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ગળાફાંસો ખાધો

05:03 PM Nov 29, 2025 | gujaratpost

રાજકોટ: મૂળ ચોટીલાના તાજપર ગામની અને હાલ રાજકોટની ડાલીબાઈ કન્યા છાત્રાલયમાં રહી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.

રાત્રે હોસ્ટેલમાં નવેક રૂમ પાર્ટનર સાથે વિદ્યાર્થિની બેઠી હતી. રાત્રે 10.30 વાગ્યા આસપાસ તે સુવા જતી રહી હતી. મોડી રાત્રે બધી રૂમ પાર્ટનર સુઈ ગયા બાદ તેજ રૂમમાં તેણે બારીના એંગલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. થોડી વાર પછી તેના બેડ પર રહેતી રૂમ પાર્ટનર ઉઠી હતી. જેણે તપાસ કરતાં રિંકલ લટકતી જોવા મળી હતી. તત્કાળ આ અંગે ગૃહમાતાને જાણ કરી હતી. 108ના તબીબે રિંકલને સ્થળ પર મૃત જાહેર કરી હતી.

માલવીયાનગર પોલીસને વિદ્યાર્થિનીની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું હતું કે મારાથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરશો, મારા આત્માને શાંતિ મળે. ફૂલ સ્કેપના પાના ઉપર લખાયેલી આ સ્યૂસાઈડ નોટમાં આજની તારીખનો સ્કૂલનો રજા રિપોર્ટ પણ લખેલો હતો. જોકે સ્યૂસાઈડ નોટ પરથી કયા કારણથી આ આત્મઘાતી પગલું ભર્યું તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.

વિદ્યાર્થિનીએ હોસ્ટેલના નંબર પરથી તેના પિતા સાથે વાત કરી ખબર-અંતર પૂછયા હતા. તે વખતે માતા સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ તેના પિતાએ બહાર હોવાનું કહેતાં થોડી વાર વાત કર્યા બાદ ફોન મૂકી દીધો હતો. રૂમ પાર્ટનર પાસેથી પોલીસને જાણવા મળ્યું હતું કે અઠવાડીયા પહેલાં વિદ્યાર્થિનીને તાવ આવતા સિવિલમાં દવા લીધી હતી. ત્યાર પછી અવાર-નવાર તે પોતાને અહીં અને ત્યાં એટલે કે હોસ્ટેલ અને ઘરે નહીં ગમતું હોવાનું કહેતી હતી. વિદ્યાર્થિનીના આ પગલાંથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.