ડીસામાં ફટાકડા ફેક્ટરીની આગમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુખ- Gujarat Post

10:09 PM Apr 01, 2025 | gujaratpost

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે અકસ્માતના કારણો શોધવાની માંગ કરી

મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રૂ. 4 લાખની સહાય

બનાસકાંઠાઃ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યાં છે. 18 શ્રમિકો બાદ વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં થયેલી જાનહાનિથી ખુબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યાં છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.ડીસા દુર્ઘટનામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું. બનાસકાંઠામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા કામદારોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. કોંગ્રેસ પરિવાર ઘાયલોને ઝડપી સ્વસ્થ થવાની કામના કરે છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.  રાજ્ય સરકાર આ અકસ્માત પાછળના કારણો શોધી કાઢે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે અને પીડિત પરિવારોને ન્યાય અપાવે તેવી અમારી માંગ છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++