દુધાતે લેટરકાંડમાં સંડોવાયેલા તમામ લોકોના નાર્કોટેસ્ટ કરવાની માંગ કરી
ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, બહેનો અને દીકરીઓ સુરક્ષિત નથીઃ દુધાત
ગાંધીનગરઃ ગુજરાતમાં 2025ની શરૂઆતમાં ખૂબ ગાજેલો અમરેલી લેટરકાંડનો મુદ્દો ફરી એક વખત પ્રકાશમાં આવ્યો છે. હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તેમાં બે દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાયલ ગોટી વિવાદ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર સમાજના ઉભરતા યુવાન કૌશિક વેકરિયા સામે ષડ્યંત્ર કરવામાં આવ્યું હતું. આ નિવેદન મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આપેલા નિવેદન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યાં છે. તેમણે આ કેસમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગણી કરતા ‘ગરીબ દીકરીને ન્યાય આપવાને બદલે તેનું મોરલ ડાઉન કરાયું છે’ એવો આક્ષેપ કર્યો છે.
આ સાથે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ આપેલા નિવેદનને આડેહાથ લેતા કહ્યું કે,ચોરનો ભાઈ માસિયાઈ ચોર’ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.તેમણે સીધો આરોપ મૂક્યો કે, મંત્રી લાજવાંની જગ્યાએ ગાજવાનું કામ કરે છે. તમે છાકટા બનેલા તમારા ધારાસભ્યને બચાવો છો. શરમ કરો.
પ્રતાપ દુધાતે જણાવ્યું કે, ગૃહરાજ્ય મંત્રીએ અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. અમરેલીના ધારાસભ્યને બચાવવાનું કામ કર્યું. 01/01/2025ના રોજ પત્ર વ્યવહારથી ભાજપના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના 12 વાગ્યે લાવીને પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવી, ત્યારબાદ SITની રચના થઈ, નિર્લિપ્ત રાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો અને DGPને સુપ્રત કર્યો. ન્યાય નથી અપાવી શકતા પણ ચોરનો ભાઈ માસિયાઈ ચોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યાં છે અને અમરેલીના ધારાસભ્યાને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરી રહ્યાં છે.
આ દિકરીને ફસાવનારા બધાનો નાર્કો ટેસ્ટ કરો. પત્રવ્યવહારની લાગેલા આરોપો સાચા હતા કે ખોટા તે ગુજરાતમાં શ્વેતપત્ર બહાર પાડી ગુજરાતની જનતાને જાણકારી આપો. ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો. DGP મારફતે તમે એક એવું ષડયંત્ર કર્યું કે, 100 કલાકમાં ગુનેગારોની યાદી બનાવો. અરે...ભલા માણસ...આજે 30 વર્ષથી તમારૂ શાસન છે, તમે 100 કલાકમાં યાદી બનાવવાની વાતો કરો છો, નાના લોકોને પકડીને સજા આપો છે અને મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે. અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભામાં મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યાં છો. તમારા છાકટા બનેલાના ધારાસભ્યોને બચાવી રહ્યાં છો. શરમ જેવું કે એક્કલ જેવું હોય તો આપણે શરમ અનુભવવી જોઈએ. એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ તમે આવું નિવેદન કર્યું તેને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/