તહેરાનઃ ઈરાનના સરકારી ટીવીએ જાહેરાત કરી કે આયાતુલ્લાહ અલી ખામેનેઇના પુત્ર મોજતબા ખામેનેઇને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટના ચાલુ યુદ્ધમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 56 વર્ષીય મોજતબાને લાંબા સમયથી સર્વોચ્ચ નેતાના પદના સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા.
તેહરાનમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યાં
ઈરાનની નિષ્ણાતોની સભા (મજલિસ-એ-ખોબ્રેગન) એ તેમને નિર્ણાયક બહુમતીથી ચૂંટ્યા. રાજ્ય ટીવીએ સભાનું એક નિવેદન વાંચ્યું, જેમાં નાગરિકોને તેમની પાછળ એક થવા વિનંતી કરવામાં આવી. આ જાહેરાત બાદ, તેહરાનના કેટલાક વિસ્તારોમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા હતા. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સુપ્રીમ લીડર માટે આ બીજી વખત સત્તાનું હસ્તાંતરણ છે. મોજતબા ખામેની હવે દેશના તમામ બાબતો પર અંતિમ નિર્ણય લેશે અને તેઓ સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપશે.
આ મામલે ટ્રમ્પે શું કહ્યું ?
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ કહ્યું હતું કે તેઓ મોજતબા ખામેનીને મંજૂરી આપતા નથી. એબીસી ન્યૂઝ સાથે વાત કરતા, ટ્રમ્પે કહ્યું કે તેઓ એવા નેતા ઇચ્છે છે જે યુદ્ધ સમાપ્ત થયા પછી ઈરાનમાં શાંતિ લાવે અને તેમની મંજૂરી વિના કોઈ પણ નવો નેતા લાંબો સમય ટકી શકશે નહીં. દરમિયાન, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે મોજતબાની નિમણૂંકને ટેકો આપ્યો છે.
કોણ છે મોજતબા ખામેનેઇ ?
મોજતબા ખામેનેઇ ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના પુત્ર છે. તેમની ઉંમર 56 વર્ષ છે. તેઓ એક શિયા ધર્મગુરુ છે અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. તેમણે ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 2019 માં, યુએસ ટ્રેઝરી વિભાગે તેમના પર પ્રતિબંધો લાદ્યા હતા.
યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,230, લેબનોનમાં 397 અને ઈઝરાયેલમાં 11 લોકોના મોત થયા છે. યુએસ સૈન્યના 7 સભ્યો પણ માર્યા ગયા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને યુએસ-ઈઝરાયેલી હુમલામાં ભાગ ન લેવા અપીલ કરી છે. યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે સંયુક્ત લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.