પત્નીનું લંડનમાં કેન્સરની બીમારીથી મોત થયું હતું
લંડન જતા પહેલા ગ્રુપમાં આઈ એમ કમિંગનો મેસજ પણ કર્યો હતો
અમદાવાદઃ મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 49 સેકેન્ડમાં જ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સિવાય પ્લેનના તમામ મુસાફર, પાયલટ, ક્રૂ તથા બીજે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મળી 260થી વધુ લોકોના મોત થયા હતા. ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ આવ્યા હતા.
અમરેલીના વડીયાના વતની અર્જુનભાઈ મનુબાઈ પટોળીયાનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત થયું હતું. તેમના પત્નીને કેન્સર હતું અને થોડા દિવસ પહેલા લંડનમાં નિધન થયું હતું. જેની વિધિ તથા અસ્થિ વિસર્જન માટે તેઓ વતનમાં આવ્યાં હતા. તેમની બંને દીકરીઓ લંડન રહે છે. લંડનના ગ્રુપમાં તેમણે આઈ એમ કમિંગનો મેસેજ પણ લખ્યો હતો. ધાર્મિક વિધિ પતાવીને તેઓ લંડન જતા હતા ત્યારે આ ઘટના બની હતી. બંને દીકરીઓએ થોડા જ સમયમાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.