વડોદરા પુલ દુર્ઘટનાઃ શરૂઆતની તપાસ બાદ 4 અધિકારીઓ સસ્પેન્ડ, અન્ય પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવાના આદેશ

11:18 AM Jul 11, 2025 | gujaratpost

વડોદરાઃ પુલ તૂટી પડવાથી એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં અત્યાર સુધીમાં લગભગ 18 લોકોનાં મોત થયા છે. ગંભીરામાં મહિસાગર નદી પર બનેલો પુલ તૂટી પડવાથી આ દુર્ઘટના બની હતી. હાલમાં 2 લોકો ગુમ હોવાના અહેવાલ છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.  પુલ દુર્ઘટનાની શરૂઆતની તપાસના આધારે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

માર્ગ અને મકાન વિભાગના એક કાર્યકારી ઇજનેર, બે નાયબ કાર્યકારી ઇજનેર અને એક સહાયક ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કાર્યકારી ઇજનેર એન.એમ. નાયકાવાલા, નાયબ કાર્યકારી ઇજનેર યુ.સી.પટેલ, નાયબ કાર્યકારી ઇજનેર આર.ટી. પટેલ અને સહાયક ઇજનેર જે.વી. શાહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

અન્ય પુલોની તપાસ કરવાના આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાથી પ્રભાવિત ગંભીરા પુલ પર અત્યાર સુધી થયેલા સમારકામ, નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણીનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી નિષ્ણાતોની એક ટીમને સોંપી હતી.

દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા પછી નિષ્ણાતોની ટીમે દુર્ઘટનાના કારણો અંગે પ્રાથમિક તપાસ અહેવાલ સુપરત કર્યો. આ ટીમમાં ચીફ એન્જિનિયર-ડિઝાઇન, ચીફ એન્જિનિયર-દક્ષિણ ગુજરાત અને પુલ બાંધકામ નિષ્ણાતો અને બે ખાનગી એન્જિનિયરોનો સમાવેશ થતો હતો. જાહેર હિતમાં સલામતીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અન્ય પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવા સૂચનાઓ પણ આપી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++