+

149 મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટ્યાં હજારો ભક્તો, સુરક્ષામા અનેક પોલીસકર્મીઓ ખડેપગે

અમદાવાદઃ 149 મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રારંભ થઇ ચૂક્યો છે. ભગવાન ગણેશના પ્રતિક માનવામાં આવતા ગજરાજના પ્રસ્થાન સાથે 149મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળી છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગજરા

અમદાવાદઃ 149 મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રારંભ થઇ ચૂક્યો છે. ભગવાન ગણેશના પ્રતિક માનવામાં આવતા ગજરાજના પ્રસ્થાન સાથે 149મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળી છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગજરાજની આગેવાનીમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારથી જ જગન્નાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથો પરંપરાગત વિધિ-વિધાન બાદ નગરચર્યાએ નીકળ્યાં છે.

રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે 10 DIG- IG કક્ષાના અધિકારીઓ, 42 SP- DCP, 93 ACP, 303 PI, 673 PSI તેમજ 1100થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત છે.  હોમગાર્ડ, SRPની ટુકડીઓ, 5 RAF અને પેરામિલિટરી ફોર્સ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઇ છે. સમગ્ર શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

ભગવાનના રથો હજારો હરિભક્તોના જયઘોષ વચ્ચે નિર્ધારિત માર્ગ પર આગળ વધ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, સંત- મહંતો, અખાડાઓ, ભજન મંડળીઓ અને ગજરાજ જોડાયા છે. આ વર્ષની રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન અને જગન્નાથપુરી સહિત દેશભરમાંથી આવેલા સાધુ-સંતો પણ જોડાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મંદિર પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો. પહિંદ વિધી બાદ રથ ખેચીને 149મી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.ગુજરાત પોલીસની ભગવાન જગન્નાથને સલામી મુખ્યમંત્રીએ સૌથી પહેલા રથનું દોરડું ખેંચ્યું હતું. 

સાથે જ PM નરેન્દ્ર મોદીએ રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી અને સોશિયલ મીડિયા એક્સ પર કચ્છીઓના નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી. કચ્છી ભાષામાં લખેલ શુભેચ્છા સંદેશમાં કચ્છીઓને નવા વર્ષના રામ રામ કહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સરસપુરમાં ભક્તોની ભારે ભીડનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યાં છે. પોલીસે સરસપુરમાંથી 2 પોકેટમાર અને 1 ચેઈન સ્નેચરની અટકાયત કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદની રથયાત્રામાં કેટલાક ભક્તો ઈરાન-અમેરિકા યુદ્ધને લઈને સંદેશ દર્શાવતા પોસ્ટરો સાથે જોવા મળ્યાં હતા, ભક્તોના હાથમાં રહેલા પોસ્ટરોએ રથયાત્રા દરમિયાન લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ, 2 લાખ ઉપેરણાં પ્રસાદ તરીકે ભક્તોને અપાઇ રહ્યો છે.

facebook twitter