Surat News: ક્યારે અટકશે અચાનક મોતનો સિલસિલો, વધુ બે લોકોના મોત – Gujarat Post

10:15 AM Oct 26, 2024 | gujaratpost

(demo pic)

Latest Surat News: : ડાયમંડ નગરી તરીકે ઓળખ ધરાવતાં સુરતમાં રહસ્યમય મોતનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે.  છાતીમાં દુઃખાવો થયા બાદ ગોડાદરામાં 42 વર્ષીય મહિલા અને રાંદેરમાં પાલિકાના કર્મચારીની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

રાંદેરમાં રામનગરમાં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રમેશભાઇ નાગજીભાઇ મકવાણાને છાતીમાં દુઃખાવો થયો હતો. બાદમાં તે પડી જતા હાલત ગંભીર થઇ હતી.  તે બેભાન થઈ જતા સારવાર માટે 107 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ પાલિકાના એસ.આઇ તરીકે ફરજ બજાવતા હતા.

ગોડાદરામાં કલાકુંજ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કાંતાબેન મનોહરભાઇ ગજરે ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તે અચાનક ઢળી પડતા બેભાન થઈ જતા સારવાર માટે ગાડાદરાની ખાનગી હોસ્પિટલ બાદ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિલાના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.

થોડા દિવસ પહેલાં શહેરના સરથાણામાં રહેતા એક સેલ્સમેનનું નાહવા જતી વખતે બેભાન થઈ જતાં મોત થયું હતું. અમરેલીના બગસરાના અને સરથાણાના વ્રજ ચોકમાં રહેતા સાગર મધુકર શેખ (ઉ.વ.32) ખાનગી દવાની કંપનીમાં સેલ્સેમન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સાંજના સમયે બાથરૂમમાં સ્નાન કરવા ગયા હતા. આ સમયે તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પૂરતી સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.  આ ઘટનાના થોડા દિવસ પહેલા ત્રણ લોકોના આવી જ રીતે મોત થયા હતા. શિયાળાની શરૂઆત પણ સરખી નથી થઈ ત્યાં સુરતમાં અચાનક મોતના સિલસિલાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++