અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધી ભડક્યાં, કહ્યું 30 લોકોને હાંકી કાઢવા પડે તો અચકાતા નહીં
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. શનિવારે તેમણે અમદાવાદમાં મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગુ છું કે ગુજરાતમાં કોંગ્રસ પક્ષને રસ્તો દેખાડી નથી રહી. ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે- એક લોકો સાથે ઉભા છે, જેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. બીજા એવા છે જેઓ લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે તે બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે.
રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. મારો ધ્યેય તમારા દિલની બાબતોને જાણવા અને સમજવાનો હતો.આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
મેં ખુદને પૂછ્યું મારી અને કોંગ્રેસની શું જવાબદારી છે. આશરે 30 વર્ષથી કેમ અહીંયા પક્ષની સરકાર નથી બની. હું જ્યારે આવું છું ત્યારે 2012, 2017, 2022, 2027 ચૂંટણી પર વાત થાય છે. પરંતુ સવાલ ચૂંટણીનો નથી.જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે. જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું ગુજરાતની જનતા કોંગ્રેસને સમર્થન આપશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++