પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતા પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સ

10:49 AM Jul 15, 2026 | gujaratpost

(File Photo)

નવી દિલ્હીઃ ભારત સરકારના ગૃહ મંત્રાલયના પૂર્વ અન્ડર સેક્રેટરી આરવીએસ મણિએ એક ખાનગી પોડકાસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓ અને ડેલિગેશનને લઈને એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફ જેવા જાણીતા ખેલાડીઓ સહિત પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશનના સભ્યો જ્યારે પણ ભારત પ્રવાસે આવતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવતા હતા.

આરવીએસ મણિના જણાવ્યાં અનુસાર, પાકિસ્તાનની ટીમ ભારતમાં આવતી વખતે ગુપ્ત રીતે ડ્રગ્સ ટ્રાફિકિંગ કરતી હતી અને આ સમગ્ર નેટવર્ક પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI નો હાથ હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં ડ્રગ્સ મોકલવું એ પાકિસ્તાનની સરકારી નીતિનો જ એક ભાગ છે.

ભારતમાં આતંકવાદ ફેલાવવામાં ડ્રગ્સ ટ્રાફિકિંગની ભૂમિકા ઉજાગર કરતા તેમણે જણાવ્યું કે, તે સમયના સંરક્ષણ ગુપ્તચર વિભાગ (DIA) ના અહેવાલ મુજબ, ભારતમાં થનારા 30 ટકા આતંકી હુમલાનું ફંડિંગ ડ્રગ્સ ટ્રાફિકિંગ દ્વારા થતું હતું. પાકિસ્તાન ડેલિગેશન દ્વારા લાવવામાં આવતા આ ડ્રગ્સના પૈસાનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરવામાં આવતો હતો.

આરવીએસ મણિએ આ ઘટનાક્રમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ બોબ વૂલ્મરના રહસ્યમય મોતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ તપાસ જરૂરી હતી.

18 માર્ચ 2007ના રોજ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, જમૈકા (કિંગ્સટન) ખાતે પાકિસ્તાનની આયર્લેન્ડ સામે હાર થયાના બીજા જ દિવસે કોચ બોબ વૂલ્મર હોટેલના રૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતા અને હોસ્પિટલ લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.

આરવીએસ મણિ કેન્દ્રીય સચિવાલય સેવા (CSS) ના પ્રતિષ્ઠિત અધિકારી રહી ચૂક્યાં છે. વર્ષ 2006 થી 2010 દરમિયાન તેઓ ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા ડિવિઝનમાં અંડર સેક્રેટરી તરીકે કાર્યરત હતા. તેમનું મુખ્ય કાર્ય જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર રાજ્યો અને આતંકવાદ સાથે જોડાયેલા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ સંભાળવાનું હતું. તેમણે ઓગસ્ટ 2013માં શહેરી વિકાસ મંત્રાલયમાં અંડર સેક્રેટરીના પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.