સોમનાથમાં 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં વડાપ્રધાન મોદી થયા સહભાગી, હર હર મોદીના લાગ્યાં નારા

08:33 PM Jan 11, 2026 | gujaratpost

સોમનાથ: સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 ના બીજા દિવસે વડાપ્રધાને સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા અને સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત ભવ્ય શૌર્યયાત્રામાં જોડાઈને લાખો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્યયાત્રા રહી હતી. જેમાં 108 અશ્વો સાથે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાનો અને સાધુ-સંતો જોડાયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાત્રામાં સહભાગી થયા ત્યારે વાતાવરણ 'હર હર મહાદેવ' અને 'હર હર મોદી' ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક કર્યો હતો. રાષ્ટ્રના કલ્યાણની કામના સાથે તેમણે ગર્ભગૃહમાં મહાદેવને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે તેમણે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને ત્યારબાદ ઓમકાર જાપ અનુષ્ઠાન તથા આધુનિક ડ્રોન-શોનો લ્હાવો લીધો હતો.
 
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા આ 'સ્વાભિમાન પર્વ'માં વડાપ્રધાનની હાજરીએ નવો પ્રાણ ફૂંક્યો છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખોની મેદનીએ વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું હતું. ભક્તિ અને શૌર્યના આ અદભૂત સંગમમાં ડ્રોન શો અને શૌર્યયાત્રાએ લોકોના મન મોહી લીધા હતા.