ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ જ ખુદ બિમાર, જામનગરની કૌભાંડી હોસ્પિટલમાં સ્ટેન્ટ બેસાડ્યાં બાદ દર્દીનું મોત થયાની ફરિયાદ

11:16 AM Nov 24, 2025 | gujaratpost

જામનગરના મોમાઈનગરમાં રહેતા રવિભાઇ રસિકભાઈ હિન્ડોચાએ પોલીસમાં અરજી આપી 

તેમના પિતા રસિકભાઇ વલ્લભદાસ હિન્ડોયાની બિન જરૂરી સર્જરી કરી નાખવામાં આવી હોવાના આક્ષેપો 

જામનગરઃ ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ જ ખુદ બિમાર છે, હોસ્પિટલોમાં સ્ટાફ દ્વારા ગુંડાગીરી કરવાના બનાવો અને કૌભાંડો સામે આવી રહ્યાં છે, જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં જરૂર ન હોવા છંતા અનેક દર્દીઓને સ્ટેન્ટ મુકી દેવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યાં બાદ એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે.

એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ આપી છે કે તેમના પિતાને જરૂર ન હોવા છંતા તેમને સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યું અને તેમનું મોત થઇ ગયું હતુ. આ મામલે પીડિત પરિવારે ન્યાયની માંગણી કરી છે.

પીએમ- જેએવાય કાર્ડમાં હાર્ટને લગતી સારવારના 153 કેસોમાં બિન જરૂરી સારવાર કરનારી આ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, ડોક્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. હવે પીડિતો સામે આવી રહ્યાં છે અને હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.

ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ જ બિમાર 

અંદાજે 153 લોકોની બિન જરૂરી સારવાર કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખવામાં આવ્યું અને સરકારને આ વાતની રહી રહીને જ ખબર પડી, આ એક સૌથી મોટી નિષ્ફળતા ગુજરાત સરકારની છે, આ કેસમાં ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. સરકારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવો જોઇએ, જેથી અન્ય હોસ્પિટલો પણ આવા કૌભાંડો કરતા અટકી જાય. સરકારની બેદરકારી અને કૌભાંડીઓના કારનામાને કારણે લોકોના જીવ જઇ રહ્યાં છે આ વાત ખુદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમજવી પડશે. આ કૌભાંડ ઉજાગર થયા પછી સરકારનો આરોગ્ય વિભાગ જ નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે.