પૃથ્વીનાથ મંદિર જઈ રહેલી બોલેરો કાર કેનાલમાં ખાબકી, 11 લોકોનાં મોત, સીએમ યોગીએ રૂ.5 લાખના વળતરની કરી જાહેરાત

05:36 PM Aug 03, 2025 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ ગોંડામાં 15 લોકોને લઇને જઇ રહેલી બોલેરો કાર કેનાલમાં ખાબકતા 11 લોકોનાં મોત થયા છે. 4 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ બધા લોકો બોલેરો કારમાં પૃથ્વીનાથ મંદિરમાં જઈ રંહ્યા હતા. ઇટિયા થોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપી છે.

અકસ્માતની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા. એસપી સાથે ડીએમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કેનાલમાંથી ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો મોતીગંજ જઈ રહ્યાં હતા. બોલેરો કાર ઇટિયા થોકની રેહરા બેલવા બહુતા કેનાલમાં પડી હતી.

સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી.તેમણે x એકાઉન્ટ પર લખ્યું કે ગોંડા જિલ્લામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં જીવ ગુમાવવો અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને રૂ. 5 લાખની આર્થિક સહાય આપવા અને જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા દે. ઓમ શાંતિ!

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++