બેલ્જિયમઃ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડું હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે.12 એપ્રિલના રોજ બેલ્જિયમની હોસ્પિટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોક્સીની ભારતીય તપાસ એજન્સીઓની વિનંતી પર ધરપકડ કરવામાં આવી છે.
ED અને CBI દ્વારા ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસો શરૂ થયાના થોડા દિવસો પછી ચોક્સી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો કે, ચોક્સી હજુ પણ બેલ્જિયમની કોર્ટમાં કાનૂની યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે, તેથી કાનૂની લડાઈમાં થોડો સમય લાગશે.
સપ્ટેમ્બર 2024 માં, ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમને વિનંતી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે, ચોક્સીના વકીલોએ કહ્યું હતું કે તેમના અસીલની તબિયત સારી નથી અને તે બ્લડ કેન્સરથી પીડિત છે, તેથી તેનું પ્રત્યાર્પણ થઈ શકતું નથી.આ પછી, ED અધિકારીઓએ કોર્ટને કહ્યું હતું કે જો તે સારવાર માટે એન્ટિગુઆથી બેલ્જિયમ જઈ શકે છે, તો તે સારવાર માટે ભારત પણ જઈ શકે છે. ઇડી અને સીબીઆઈની પ્રત્યાર્પણ વિનંતીઓ બાદ બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી હતી.
મેહુલ ચોક્સી કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી છે. આ કૌભાંડ 13,500 કરોડ રૂપિયાથી વધુનું છે. ચોક્સી 2018 થી એન્ટિગુઆમાં રહે છે. EDએ ચોક્સી વિરુદ્ધ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. 2019 માં, ED એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ચોક્સી ભાગેડુ અને ફરાર છે.
2018 માં પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યાં બાદ ચોક્સી ભારતમાંથી ભાગી ગયો હતો. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડનો આરોપી છે અને લંડનમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. મે 2021 માં, ચોક્સી એન્ટિગુઆથી ગુમ થયાના અહેવાલો પણ આવ્યાં હતા, પરંતુ બાદમાં તે ડોમિનિકામાં હોવાનું જાણવા મળ્યું હતું. સીબીઆઈએ મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી.
આ પછી, 2018 માં, ઇન્ટરપોલે ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ચોક્સી દ્વારા રેડ કોર્નર નોટિસ દૂર કરવા માટે ઇન્ટરપોલમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેને દાવો કર્યો હતો કે 2021 માં, ભારતીય તપાસ એજન્સીઓએ તેનું અપહરણ કર્યું હતું.
2018 માં, ED એ ચોક્સીની 1,217 કરોડ રૂપિયાની 41 સ્થાવર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા તેના બે ફ્લેટ, કોલકાતામાં એક મોલ, મુંબઈ-ગોવા હાઇવે પર 27 એકર જમીન, તમિલનાડુમાં 101 એકર જમીન, નાગપુર, નાસિકમાં જમીન, અલ્લાબાગમાં બે બંગલા અને સુરતમાં ઓફિસનો સમાવેશ થાય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/