અમરેલીઃ ગુજરાતના રાજકારણમાં અત્યારે ખેંચતાણનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતે આપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીના રાજકીય ભવિષ્ય અંગે કરેલી આગાહીએ ચર્ચા જગાવી છે.
પ્રતાપ દુધાતે દાવો કર્યો છે કે ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે વિખેરી નાખશે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગોપાલ ઈટાલિયા પોતે જ ઝાડુ મારીને પક્ષ સાફ કરી નાખશે અને અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. તાજેતરમાં રાજીનામું આપનાર ખેડૂત નેતા રાજુ કરપડાની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, વિસાવદરની ચૂંટણી વખતે જેઓ મોટા નિવેદનો આપતા હતા, આજે તેમની હાલત જનતાની સામે છે.
ટૂંક સમયમાં ઈસુદાન ગઢવીનો પણ રાજકીય ભોગ લેવાશે. પ્રતાપ દુધાતે જનતાને આ રાજકીય ખેલ સમજવા માટે અપીલ કરી છે. તેમના મતે આપના નેતાઓ જે રીતે એક પછી એક પક્ષ છોડી રહ્યાં છે અથવા ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે, તે પૂર્વ-આયોજિત રમત છે.