- રીવાબા જાડેજાનો ભાજપની જીતનો વિશ્વાસ
- નયનાબા જાડેજાનો વળતો જવાબ
રાજકોટ: રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, જેમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય અને મંત્રી રીવાબા જાડેજા તથા તેમના નણંદ અને કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજા સામ સામે નિવેદનો આપતા જોવા મળ્યાં છે. રાજકોટમાં પ્રચાર અર્થે આવેલા રીવાબાએ પારિવારિક સંબંધો જાળવી નણંદને શુભેચ્છા તો પાઠવી, પરંતુ સાથે જ ભાજપની ભવ્ય જીતનો દાવો કર્યો.
રીવાબાએ ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, મને ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે. આગામી 26 તારીખે જનતા ભાજપની પેનલને જંગી બહુમતીથી જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે. વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 17 એપ્રિલનો દિવસ નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત, પરંતુ કોંગ્રેસના વિરોધને કારણે તે દેશની 70 કરોડ મહિલાઓ માટે કાળો દિવસ સાબિત થયો છે અને મહિલાઓ માટે અનામતનું બિલ લોકસભામાં નામંજૂર થયું.
સામે રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ રીવાબાની શુભેચ્છાનો આભાર માન્યો હતો, પરંતુ જીતના દાવા પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જીત કોની થશે એ તો 28 તારીખે (પરિણામના દિવસે) જ ખબર પડશે. ભાજપના પૂર્વ કોર્પોરેટરોએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને કોઈ કામ નથી કર્યા, જે જનતા હવે જાણી ગઈ છે.