- ભાજપ નેતાની ટિપ્પણી પર કોર્ટે કહ્યું- દેશમાં અભિવ્યક્તિની સ્વાતંત્રતા
અમદાવાદઃ સુરત શહેરમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન પોલીસ અધિકારી સામેનો તપાસ અહેવાલ તેમજ ન્યાયતંત્ર સામેની સોશિયલ મીડિયા ટિપ્પણી અંગે મહત્વની બાબતો સામે આવી છે
DGP ના આદેશથી DCP રાજદીપસિંહ નકુમ સામે શરૂ કરાયેલી તપાસનો અહેવાલ સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલે સ્પષ્ટ કર્યું હતું કે DCP નકુમ IPS કક્ષાના અધિકારી તરીકે પ્રમોટ થયા હોવાથી તેમની સામે કાર્યવાહી કે નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારના ગૃહ વિભાગ પાસે છે. સમગ્ર મામલે આખરી નિર્ણય સરકાર પર છોડવામાં આવ્યો છે.
સુરતમાં 13 જુલાઈએ DCP રાજદીપસિંહ નકુમે આરોપીઓને જાહેરમાં માર મારવા તથા તેમનું સરઘસ કાઢવા મામલે હાઇકોર્ટમાં સુઓમોટો પર 14 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કડક વલણ અપનાવતાં હાઇકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હોય તેમ આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યાં હતા. આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા. બાદમાં આ મામલે ભાજપના એક નેતાએ હાઇકોર્ટના જજ વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરી હતી અને ડીસીપીનો પક્ષ લીધો હતો.