+

CJPની મોટી જાહેરાત: 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી કૂચ યોજાશે

સરકાર પર વચનભંગના આરોપ લગાવ્યા સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય હિંસક ટકરાવનો નથી સરકાર પાસે 25 જુલાઈના આશ્વાસનોનો સંપૂર્ણ અમલ કરાવવા અપીલ કરી નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 5 સ
  • સરકાર પર વચનભંગના આરોપ લગાવ્યા
  • સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય હિંસક ટકરાવનો નથી
  • સરકાર પાસે 25 જુલાઈના આશ્વાસનોનો સંપૂર્ણ અમલ કરાવવા અપીલ કરી

નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હી ખાતે શાંતિપૂર્ણ વિરોધ કૂચ યોજવાની જાહેરાત કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ કૂચ ઈન્ડિયા ગેટથી શરૂ થઈ નવી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી જશે. CJPનો આરોપ છે કે 25 જુલાઈના રોજ યુવાનોને અપાયેલા આશ્વાસનોના આધારે દેશવ્યાપી આંદોલન વિશ્વાસ રાખીને પાછું ખેંચવામાં આવ્યું હતું, પરંતુ એક મહિના બાદ પણ સરકાર તરફથી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ કારણોસર યુવાનોએ ફરી લોકતાંત્રિક રીતે રસ્તા પર ઊતરવું પડી રહ્યું છે.

CJPની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં 25 જુલાઈના વચનોની સમીક્ષા કરવામાં આવી હતી. સંગઠનનો દાવો છે કે કેન્દ્ર સરકાર તેમજ ભાજપ અને NDA શાસિત રાજ્યોએ આપેલા ભરોસાને પૂરો કરવાની દિશામાં યોગ્ય પગલાં નથી લીધા. સરકાર ટેકનિકલ કારણો આગળ ધરી સ્પષ્ટ જવાબ આપવાથી બચી રહી છે અને વિલંબ કરી રહી છે.

આ કૂચનું નેતૃત્વ NEET સાથે સંકળાયેલા મૃત વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ દમનનો ભોગ બનેલા પરિવારો કરશે. આ પીડિત પરિવારો કૂચની પ્રથમ હરોળમાં રહેશે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય હિંસક ટકરાવનો નથી, પરંતુ સરકાર પોતાના વચનો પૂરા કરે તેવી લોકતાંત્રિક માંગ કરવાનો છે.

CJPએ સમગ્ર દેશના યુવાનો અને વિદ્યાર્થી સંગઠનોને 5 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ઈન્ડિયા ગેટ પહોંચી આ શાંતિપૂર્ણ કૂચમાં જોડાઈ સરકાર પાસે 25 જુલાઈના આશ્વાસનોનો સંપૂર્ણ અમલ કરાવવા અપીલ કરી છે. 

facebook twitter