એસીબીની મોટી કાર્યવાહી, 1.10 લાખ રૂપિયાની લાંચનો કેસ
લાંચની રકમ રિકવર કરીને આરોપી પોલીસકર્મીની ધરપકડ કરાઇ
ગાંધીનગરઃ ગુજરાત એસીબીએ વધુ એક પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી લીધા છે, ચિલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજસિંહ નારૂકા 1.10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. ફરિયાદી અને તેમના વકીલ મિત્ર પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીને મળ્યાં હતા, જેમાં ફરિયાદીના પતિનું પ્રોહિબિશનના ગુનામાંથી નામ કાઢવા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. વિષ્ણુ રબારીએ વહીવટ કરવા માટે જમાદાર યુવરાજસિંહને મળવા કહ્યું હતુ.
ફરિયાદીના પતિનું નામ ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ખુલેલું, 2 જૂન 2025ના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ફરિયાદીના ઘરે આરોપીને શોધવા ગયા હતા. બાદમાં આરોપીને વોન્ટેડ ગણીને પોલીસ સ્ટેશન હાજર થવા જણાવ્યું હતુ, આ કેસમાંથી છૂટવું હોય તો આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીએ જમાદાર યુવરાજસિંહને મળી લેવા કહ્યું હતુ.
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકામાં યુવરાજસિંહ ઝડપાઇ ગયા હતા.