અમદાવાદઃ રાજ્યન લોકોમાં લોકપ્રિયતા ધરાવતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. વિજ્ઞાન જાથા સાથેના સતત વિવાદોથી કંટાળીને તેમણે હવે પછી હવામાન અંગે કોઈ પણ જાહેર આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, વિજ્ઞાન જાથા દ્વારા વારંવાર તેમની આગાહીઓને લઈને બિનજરૂરી વિવાદો ઊભા કરવામાં આવી રહ્યાં છે. દરેક આગાહી બાદ થતી ટીકાઓ અને સોશિયલ મીડિયા પરની ચર્ચાઓથી તેઓ કંટાળી ગયા છે. તેમણે ઉમેર્યું કે, હવે મારી ઉંમર થઈ ગઈ છે અને હું કોઈ પણ પ્રકારના ખોટા વિવાદોમાં પડવા માંગતો નથી. તેથી મેં હવામાન અંગેની જાહેર આગાહીઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે બીજા દિવસે તેમને કહ્યું કે હું આગાહી કરવાનો છું, જેને માનવું હોય તે માને.
બીજી તરફ, વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ ફરી એકવાર ખાનગી આગાહીકારો સામે મોરચો માંડ્યો છે. તેમણે તમામ વરતારાઓને 'બોગસ' ગણાવતા આકરા પ્રહારો કર્યા હતા. જયંત પંડ્યાના જણાવ્યાં મુજબ, આગાહીકારો પાસે કોઈ વૈજ્ઞાનિક ઉપકરણો કે પ્રમાણભૂત પદ્ધતિઓ નથી. આવા ખોટા વરતારાના કારણે ખેડૂતો ગેરમાર્ગે દોરાઈને ખોટા નિર્ણયો લે છે, જેનાથી તેમના બિયારણ અને પાકને મોટું નુકસાન થાય છે.
તેમણે જાહેરાત કરી છે કે આવા આગાહીકારો વિરુદ્ધ આગામી સમયમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોના હિત માટે હવામાનના આવા વરતારા કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે.