ભરૂચઃ આયોજન કચેરીમાં ફરજ બજાવતા કલાસ-1 અધિકારીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ લોકલ પોલીસનો કાફલો તાત્કાલિક રામેશ્વર પાર્ક સોસાયટી ખાતેના ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરીને તપાસ શરૂ કરતા અધિકારીના રૂમમાંથી એક સ્યૂસાઇડ નોટ મળી છે.
ભરૂચના પોશ ગણાતા વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કલાસ-1 અધિકારી પિયુષ ઉકાણીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. પોલીસે તપાસ કરતા તેમના રૂમમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી છે.
નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ અલગ-અલગ બેંકોની લોન અને ક્રેડિટ કાર્ડના ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા હતા. આ આર્થિક બોજ અને તેના માનસિક તણાવને સહન ન કરી શકતા તેઓ આ પગલું ભરી રહ્યાં છે.
આ અધિકારીએ તાજેતરમાં જ ભરૂચ ખાતે કાર્યભાર સંભાળ્યો હતો. પોલીસે મૃતક પિયુષ ઉકાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બીજી તરફ આ આત્મહત્યાથી તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે.