ટ્વિશા શર્મા કેસ: પૂર્વ ન્યાયાધીશ સાસુ અને પતિ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

10:09 AM Jun 03, 2026 | gujaratpost

  • ટ્વિશાનો પતિ સમર્થ સિંહ વકીલ સાથે વાતચીત કરતી વખતે હસતો જોવા મળ્યો

ભોપાલઃ ટ્વિશા શર્મા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલામાં ધરપકડ કરાયેલા નિવૃત્ત જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશ ગિરિબાલા સિંહ અને તેમના વકીલ પુત્ર સમર્થ સિંહને ભોપાલ જિલ્લા કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં કેન્દ્રીય જેલ મોકલી આપ્યાં છે. બંને આરોપીઓએ હવે 16 જૂન સુધી જેલમાં રહેવું પડશે.

સીબીઆઈએ દહેજ હત્યા, દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસના આરોપો હેઠળ બંનેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. પૂછપરછ પૂર્ણ થયા બાદ મંગળવારે બપોરે એક વાગ્યે બંનેને ન્યાયિક મેજિસ્ટ્રેટ શોભના ભલાવીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. સીબીઆઈએ વધુ રિમાન્ડની માંગ ન કરતા, કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યાં બાદ આરોપીઓને જેલ ભેગા કરવાનો આદેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહે કોર્ટમાં જણાવ્યું કે, તેમના અને તેમની પુત્રવધૂ ટ્વિશા શર્મા વચ્ચેના સંબંધો સામાન્ય હતા અને ક્યારેય કોઈ વિવાદ થયો ન હતો. ટ્વિશાનું મોત એ આત્મહત્યાનો મામલો છે અને તેમણે ક્યારેય તેની સાથે કોઈ મારપીટ કરી નથી. ઘરના સીસીટીવી ફૂટેજ બહાર કેવી રીતે પહોંચ્યાં, તે અંગે તેમને કોઈ જાણકારી નથી.

આ સાથે જ ગિરિબાલા સિંહે મીડિયા પર પણ સવાલો ઉઠાવ્યાં હતા અને આરોપ લગાવ્યો હતો કે આ મામલામાં તેમનો મીડિયા ટ્રાયલ થઈ રહ્યો છે જે બંધ થવો જોઈએ. તેમણે દાવો કર્યો કે ક્રાઈમ સીન રી-ક્રિએશન વખતે મીડિયાને ફૂટેજ આપવાના હેતુથી તેમને ઘરના 100 મીટર પહેલા જ ઉતારી દેવામાં આવ્યાં હતા. બીજી તરફ, કોર્ટમાં રજૂઆત વખતે ટ્વિશાના પતિ સમર્થ સિંહ પોતાના વકીલ સાથે વાતચીત કરતી વખતે હસતા જોવા મળ્યાં હતા અને કોર્ટ રૂમમાં પ્રવેશતા પહેલા તેમનું વર્તન એકદમ સામાન્ય હતું.