આ છે ગુજરાતનો વિકાસઃ રસ્તામાં પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી, મોતનો મલાજો પણ ન જળવાયો

09:43 AM Aug 12, 2025 | gujaratpost

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ઘણા ગામડાઓમાં હજુ વિકાસ પહોંચ્યો નથી. પ્રસુતિથી લઈને અનેક કામો માટે લોકોને ઝોળીમાં ઉંચકીને લઈ જવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. દરમિયાન સુરેન્દ્રનગરના દસાડાના મોટા ઉભાડામાં સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે મોતનો મલાજો પણ સચવાયો ન હતો. અનુ.જાતિના સ્મશાન જવાના રસ્તા પર પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી હતી. દર ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા દલિતોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયા બાદ રસ્તા પર લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવી જ ઘટના દસાડાના મોટા ઉભડા ગામે સામે આવી છે. જ્યાં વરસાદ પડ્યાં બાદ પણ અનેક અનુ.જાતિના સ્મશાન જવાના રસ્તા પર લાંબા સમય સુધી હાલાકી વેઠવી પડી હતી.

તાજેતરમાં આ રસ્તા પર વરસાદી પાણી હોવાને કારણે પરિવારજનો સહિત ડાઘુઓને ખેતરના માર્ગે મૃતકની અંતિમયાત્રા કાઢવાની નોબત આવી હતી અને મૃતદેહને પણ ન છુટકે ટ્રેકટરમાં રાખી સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષથી આ સમસ્યા દર ચોમાસામાં સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો. દલિત સમાજે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.