અમદાવાદઃ જશોદાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરીનો વિરોધ કરતી વખતે આત્મવિલોપનનો પ્રયાસ કરનારી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.14 ઓગસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં જયશ્રી કોમ્પલેક્ષમાં એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી. આ કામગીરીનો વિરોધ કરવા માટે સ્થાનિક લોકો અને વેપારીઓ એકઠા થઈ ગયા હતા.
આ દરમિયાન, એક વેપારીની પત્ની નર્મદાબેન કુમાવતએ વિરોધ દર્શાવવા માટે પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતા. જે મુજબ આસપાસના લોકો તેમને રોકવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ ઝપાઝપી કરીને તેમણે દીવાસળી ચાંપી દીધી. આ ઘટનામાં નર્મદાબેન ગંભીર રીતે દાઝી ગયા અને તેમને બચાવવા ગયેલા અન્ય કેટલાક લોકો પણ દાઝ્યા હતા.
નર્મદાબેનને તાત્કાલિક મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમના શરીરનો 80 ટકાથી વધુ ભાગ દાઝી ગયો હોવાથી તેમની હાલત ગંભીર હતી. ત્રણ દિવસની સારવાર બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ મામલે પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/