મોદી સરકારને કારણે આ શક્ય બન્યું...કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવાયા

11:17 AM Feb 12, 2024 | gujaratpost

કતારઃ ભારતે ફરી એકવાર મોટી રાજદ્વારી જીત હાંસલ કરી છે. કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યાં છે. ભારત સરકારે તમામ 8 ભારતીયોની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આઠમાંથી સાત ભારતીયો ભારત પરત ફર્યાં છે. અમે કતારના અમીરના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ કે તેઓ અમારા નાગરિકોની મુક્તિ અને ઘરે પાછા ફરવાની મંજૂરી આપી.

ઓગસ્ટ 2022માં પકડાયા હતા

આઠ ભૂતપૂર્વ મરીન દોહા સ્થિત અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસમાં કામ કરતા હતા. ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આરોપો ક્યારેય જાહેર કરવામાં આવ્યાં ન હતા. તમામ પર સબમરીન પ્રોજેક્ટની જાસૂસી કરવાનો આરોપ હતો. અલ દહરાહ ગ્લોબલ કંપની કતારના લશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે.

એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યાં બાદ ઓક્ટોબરમાં કતારની નીચલી અદાલતે ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજા ફટકારી હતી. કેન્દ્ર સરકાર આનાથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે કતારે અગાઉ આ સંબંધમાં કોઈ માહિતી આપી ન હતી. ભારતે આ નિર્ણય સામે અપીલ કરી હતી. કતાર ભારતને કુદરતી ગેસનો મુખ્ય સપ્લાયર છે. લગભગ આઠ લાખ ભારતીયો ત્યાં કામ કરે છે. બંને દેશો વચ્ચે હંમેશા સારા સંબંધો રહ્યાં છે.

બાદમાં મૃત્યુદંડની સજા માફ કરવામાં આવી હતી

ભારતને તાજેતરમાં રાજદ્વારી સફળતા મળી જ્યારે કતારએ આઠ અધિકારીઓની મૃત્યુદંડની સજા નાબૂદ કરી. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. દુબઈમાં COP-28 કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની વચ્ચેની બેઠકના ચાર અઠવાડિયામાં આ સજા માફ કરાઇ અને તેમને છોડી દેવામાં આવ્યાં. એક ડિસેમ્બરે બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે કતારમાં રહેતા ભારતીય સમૂદાય વિશે અમીર સાથે વાત કરી હતી. આ સમયગાળા દરમિયાન નૌકાદળના કર્મચારીઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હશે.

PM મોદી વિના મુક્તિ શક્ય ન હતીઃ પૂર્વ નૌસેના અધિકારી

કતારથી ભારત પરત ફરેલા નૌકાદળના અધિકારીઓએ કહ્યું કે પીએમ મોદી વગર અમારી મુક્તિ શક્ય ન હતી. ભારત સરકારે અમારી મુક્તિ માટે સતત પ્રયાસો કર્યાં હતા. કતારથી પરત ફરેલા નૌકાદળના નિવૃત્ત સૈનિકો કહે છે કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના રાહ જોઈ હતી. અમે PMના અત્યંત આભારી છીએ.તેમના અંગત હસ્તક્ષેપ વિના આ શક્ય બન્યું ન હોત. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે હૃદયપૂર્વક આભારી છીએ અને તે પ્રયત્નો વિના આ દિવસ શક્ય ન હતો.

ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ સૈનિકોમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાકેશનો સમાવેશ થાય છે. જેઓ કતારમાં અલ્દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા, જે સેવાઓ અને સંરક્ષણ સેવાઓ આપતી કંપની છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post