સુરતઃ ગુજરાતમાં હાલ મોસમનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, અમરેલી સહિત સૌરાષ્ટ્રાના અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.
જિલ્લાના ડુંગરાળ વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં સવારના સમયે પવનના સુસવાટા સાથે વરસાદના અમીછાંટણા શરૂ થયા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી સહન કરી રહેલા સ્થાનિક લોકોને આ કમોસમી વરસાદના કારણે ગરમી અને અસહ્ય બફારામાંથી થોડી રાહત મળી છે. સવારના સમયે હવામાં ઠંડક પ્રસરી જતાં વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું.
જો કે, આ આહલાદક વાતાવરણ નવસારી અને આસપાસના વિસ્તારના પ્રખ્યાત આંબાના બગીચાઓ ધરાવતા ખેડૂતો માટે ચિંતાની આફત લઈને આવ્યું છે. કમોસમી વરસાદના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડવાની તેમજ સડો લાગવાની શક્યતા વધી ગઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 30 મે દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 1થી2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર નોંધાયો છે.