રાજકોટઃ જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ 2027 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના ત્રણ વિશેષ રથને રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરીને લોકોને આ મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપશે.
આ પ્રસંગે નરેશ પટેલે પોતાની નિવૃત્તિ અંગેના મોટા સંકેતો આપતાં જણાવ્યું કે, વર્ષ 2027ના મહોત્સવ બાદ તેઓ નિવૃત્તિ લઈ શકે છે અને તેમના ગયા પછી તેમના પરિવારનો કોઈ સભ્ય આ જગ્યા લેશે નહીં. રથ પ્રસ્થાન કરાવતા પહેલા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ચેરમેન નરેશ પટેલે નિવૃત્તિના સ્પષ્ટ સંકેત આપ્યાં હતા. તેમણે જણાવ્યું કે, અહીંયા ઉપસ્થિત ઘણા લોકો વર્ષ 2011 અને 2017થી મારી સાથે જોડાયેલા છે. આજે 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે આટલી મોટી અને સક્ષમ ટીમ આપણી સાથે છે, એ જ સૌથી મોટી સફળતા છે. હવે તો હું આરામ કરું તો પણ કોઈ વાંધો આવે તેમ નથી.
તેમણે કહ્યું, મારી ટીમ હવે સંપૂર્ણ સક્ષમ થઈ ગઈ છે. હું ખાતરી આપું છું કે મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ નહીં આવે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા છે કે નરેશ પટેલની નિવૃત્તિ બાદ અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટને લીડ કરે તો નવાઈ નહીં.