38 લાખ વીઘા જમીન જોખમમાં હોવાનો ઇસુદાન ગઢવીનો દાવો
મોરબીમાં ખેડૂતોનું આમરણ ઉપવાસ આંદોલન
રાજકોટઃ મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરોમાંથી વીજ લાઇન પસાર કરવાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 8 દિવસથી આમરણ ઉપવાસ પર ઉતર્યા છે. પોતાની કિંમતી જમીન બચાવવા માટે મજબૂર બનેલા ખેડૂતોના આ આંદોલનને આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ તેમણે શાસક પક્ષ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ઇસુદાન ગઢવીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, કરોડો રૂપિયા કમાવા આવેલી ખાનગી કંપનીઓની દલાલ બનીને ભાજપ સરકાર કામ કરી રહી છે. કંપનીઓને ભાડેથી પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને પોતાના હક માટે લડતા ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ગાંધીનગરમાં એસી ચેમ્બરોમાં મુખ્યમંત્રી અને મંત્રીઓ જલસા કરી રહ્યાં છે, જ્યારે ખેડૂતો આઠ-આઠ દિવસથી ભૂખ્યા-તરસ્યા બેઠા છે છતાં સરકાર પર તેની કોઈ અસર થતી નથી. આશ્ચર્યની વાત એ છે કે સરકારના એક મંત્રી પોતે આ જ ગામના વતની હોવા છતાં ખેડૂતોના પ્રશ્નોની કોઈ નોંધ લેવાતી નથી. આપ નેતાએ માંગ કરી છે કે સરકારે તાત્કાલિક ઉપવાસી ખેડૂતોની મુલાકાત લઈ યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.
ઇસુદાન ગઢવીએ હાઇટેન્શન લાઇન પ્રોજેક્ટ અંગે મોટો દાવો કરતા જણાવ્યું કે આ સમસ્યા માત્ર મોરબી, જેતપર, કચ્છ, દ્વારકા કે જામનગર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત પર તેનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યના 26 જિલ્લાઓમાંથી આવી કુલ 100 હાઇટેન્શન લાઇનો પસાર કરવાનું આયોજન છે. એક લાઇનમાં અંદાજે 1500 જેટલા હાઇટેન્શન થાંભલા ઊભા કરાશે, એટલે કે સમગ્ર રાજ્યમાં હજારો થાંભલા નખાશે. આ પ્રોજેક્ટના કારણે ગુજરાતની કુલ 38 લાખ વીઘા ખેતીલાયક જમીનને સીધી અસર થશે, જેનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે.
ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ અને ખાનગી કંપનીઓ વચ્ચે બંધ બારણે બેઠકો કરીને ખેડૂતોની મરજી વિરૂદ્ધ આ લાઇનો નાખવામાં આવી રહી છે. સરકારે આ આંકડાઓ અંગે તાત્કાલિક ખુલાસો કરવો જોઈએ અને ખેડૂતોએ પોતાની જમીન બચાવવા માટે આ લડતમાં એક થવું પડશે.
કરોડો રૂપિયા કમાવા આવેલી કંપનીઓની દલાલ બનીને ભાજપ સરકાર કંપનીઓને ભાડે પોલીસ આપીને ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરવામાં કોઈ કસર નથી છોડી રહી.
— AAP Gujarat (@AAPGujarat) June 25, 2026
મોરબીના જેતપરમાં પોતાની જમીન બચાવવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 8 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે તેમ છતાં સરકારને કોઈ અસર નથી.
સરકારના એક… pic.twitter.com/14z3cUE5HW