પહેલા માળની બાલ્કનીની છાજલી પર માથું પછડાતા મોત
યુવતી લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાનો દાવો
લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી મૃતક યુવતી
અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી આસામની એક યુવતીની લાશ મળી હતી. મૂળ આસામની યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કર્યો હતો.આ યુવતી ચારેક માસથી એક યુવક સાથે લિવઇન રિલેશનશીપમાં રહેતી હતી. વર્ધમાનનગર રહેતી યુવતીએ બીજા માળેથી પડતુ મૂકતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મૂળ આસામની શિવાલી કશ્યપ નામની 26 વર્ષીય યુવતીએ ખાનગી ઇન્સ્ટિટ્યુટમાંથી ઇન્ટિરીયર ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો હતો. આ યુવતી સૌરભ પુરોહિત નામના 31 વર્ષીય યુવક સાથે બે વર્ષથી પરિચયમાં હતી. શિવાલી અને સૌરભ ચારેક માસથી લિવઇનમાં રહેતા હતા. શિવાલીએ બીજા માળની બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતું ત્યારે પહેલા માળની બાલ્કનીની છાજલી પર માથું પછડાતા તેનું મોત નિપજ્યુ હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યુ કે, બંનેને લગ્ન કરવા હતા પરંતુ પરિવારની સહમતી ન હોવાથી શિવાલી લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. મંગળવારે સાંજે પણ શિવાલી અને સૌરભ વચ્ચે કોઇ બાબતને લઇને બોલાચાલી થઇ હતી. જે બાદ રાત્રે આ ઘટના બની હતી. જોકે, શિવાલીએ આપઘાત કરતા મોતને ભેટી છે કે કેમ ? તેની હકીકતના મૂળ સુધી પહોંચવા પોલીસે પેનલ ડોક્ટર અને વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાવીને તમામ શંકાઓ પર તપાસ હાથ ધરી છે.