પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાયઃ ભાજપ નેતાની પોસ્ટ ચર્ચામાં
શનિવારે ગોંડલ શહેર રોષપૂર્ણ બંધ રાખવાની ચીમકી
રાજકોટઃ ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગે છે. જાટ યુવકના મોત મામલે જયરાજસિંહ જાડેજા સામે રોષ છે અને હવે પાટીદાર સમાજના તરુણને માર મારવાનો મુદ્દો ચર્ચામાં છે. ગોંડલમાં બે દિવસ પહેલા એક કિશોરને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.તેના માતા-પિતાને ધોલધપાટ કરનાર ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોના અત્યાચારના વિરોધમાં પાટીદાર સમાજ એકઠો થયો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને માંગ કરી છે કે બે દિવસમાં હુમલાખોરોનું જાહેરમાં સરઘસ કાઢીને સરભરા કરવામાં આવે, નહી તો શનિવારે ગોંડલ શહેર અડધો દિવસ રોષપૂર્ણ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી હતી.
ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ત્રણ શખ્સો દ્વારા સગીરને ધોકા વડે ફટકારવામાં આવ્યો હતો, આ ઘટનામાં માર મારનાર એક આરોપીએ પણ સામે ફરિયાદ આપી છે કે પોતાના 12 વર્ષનાં પુત્ર પર સગીર અને તેના મિત્રો જાતીય સતામણી કરે છે. જેમાં પોક્સોનો કેસ કરાયો છે.
લુખ્ખા તત્વોએ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં કિશોરને માર માર્યાના અહેવાલ બાદ જબરજસ્ત રોષ ભભુકી ઉઠ્યો છે. પાટીદાર સમાજના તેમજ અન્ય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા. પહેલા બેઠક કરી ત્યાર બાદ રેલી કરીને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યો હતો. પાટીદાર સમાજની આ બેઠકમાં ભાજપના સમર્થકો તેમજ અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમને અન્ય અસામાજિક તત્વોની જેમ જ પાઠ ભણાવવાની માંગ ઉઠી છે. ઉપરાંત ગોંડલમાં કડક પોલીસ અધિકારીની નિયુક્તિ માટે માંગ કરી છે.
ભાજપનાં આગેવાન પાટીદાર નેતા વરુણ પટેલ દ્વારા પણ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરીને લખ્યું કે," પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાય, અને પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને, ગુજરાતનાં અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી છે ? કે ઠોકશાહી? તેમને આ પોસ્ટ ગુજરાતનાં ડીજીપી અને સીએમઓને પણ ટેગ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++