વોશિંગ્ટન ડીસીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હથિયાર નીચે મૂકી શરણાગતિ સ્વીકારવા માટે ધમકી આપી છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર જીવિત નથી. આ સાથે જ ટ્રમ્પે મિડલ-ઈસ્ટમાં વધી રહેલા સંઘર્ષમાં તાત્કાલિક યુદ્ધવિરામની શક્યતાઓને પણ નકારી કાઢી છે.
એક ન્યૂઝ ચેનલ સાથેના ટેલિફોનિક ઇન્ટરવ્યુંમાં ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે, દુશ્મનાવટનો અંત લાવવામાં ઈરાનની સ્પષ્ટ રુચિ હોવા છતાં, તેઓ વર્તમાન પરિસ્થિતિઓથી સંતુષ્ટ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઈરાન સમજૂતી કરવા માંગે છે, પરંતુ હું અત્યારે સમજૂતી કરવા માંગતો નથી કારણ કે શરતો હજુ પૂરતી નથી.
રાષ્ટ્રપતિએ તાજેતરમાં આયાતુલ્લા અલી ખામનેઈના નિધન બાદ સુપ્રીમ લીડરનું પદ સંભાળનારા મુજતબા ખામનેઈની તબિયત પર ગંભીર શંકા વ્યક્ત કરી હતી. ખામનેઈ સાર્વજનિક રીતે દેખાતા ન હોવા પર ટ્રમ્પે કહ્યું, મને ખબર નથી કે તેઓ જીવિત છે કે નહીં. અત્યાર સુધી કોઈ તેમને મળી શક્યું નથી.
ટ્રમ્પે આગળ જણાવ્યું કે, હું સાંભળી રહ્યો છું કે તેઓ જીવિત નથી, અને જો તેઓ જીવિત હોય તો તેમણે તેમના દેશ માટે કંઈક ખૂબ જ સમજદારીભર્યું પગલું ભરવું જોઈએ, અને તે છે શરણાગતિ. ઉલ્લેખનીય છે કે પીટ હેગસેથે શુક્રવારે કહ્યું હતું કે તાજેતરના સૈન્ય હુમલાઓ બાદ યુવા ખામનેઈ ઘાયલ થયા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક તેલ નિકાસ કેન્દ્ર ખારગ ટાપુ પર ભારે હુમલા કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ અભિયાનમાં ટાપુ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે, જો કે લાંબા પુનઃનિર્માણ કાર્યોથી બચવા માટે ઉર્જા માળખાગત સુવિધાઓને સુરક્ષિત રાખવામાં આવી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકાએ પહેલેથી જ ઈરાનની મોટાભાગની મિસાઈલો અને ડ્રોન નષ્ટ કરી દીધા છે.