પેટ્રોલ પંપના કર્મચારીએ જયરાજસિંહ જાડેજા પર શંકા વ્યક્ત કરી
ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો ચર્ચામાં આવ્યો
જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ ઘણા સમયથી છે આમને સામને
રાજકોટઃ ગોંડલ તાલુકાના રાજકારણમાં ફરી એકવાર તંગદિલીનો માહોલ સર્જાયો છે. 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રિબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
મળતી વિગતો પ્રમાણે, ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખર ઓફિસમાં હાજર હતા. તેમના જણાવ્યા અનુસાર, તેઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે, અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. ગોળી ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી. તેઓ ગભરાઈને બહાર દોડી આવ્યા તો તેમણે બાઈક પર આવેલા બે શખ્સોને જોયા હતા, જેમના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા. તેમાંથી એક વ્યક્તિએ તેમની સામે બંદૂક તાકી હતી. જેથી તેઓ ગભરાઈને જીવ બચાવીને ઓફિસની અંદર છુપાઇ ગયા હતા.
ફાયરિંગનો અવાજ સાંભળીને પંપના મેનેજર જગદીશસિંહ ગોહિલ પણ બહાર આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો પોતાની બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.