રાપર: કચ્છની ધરતી આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના શક્તિશાળી આંચકાથી ધ્રુજી હતી. શુક્રવારે સવારે 4:30 વાગ્યે આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોને જગાડી દીધા હતા. ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ભયના માર્યા પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યાં હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યાં અનુસાર, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ (WSW) દિશામાં ગેડી ગામ નજીક નોંધાયું હતું. આ આંચકો જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હતો. ઓછી ઊંડાઈ હોવાને કારણે તેની અસર રાપર, ભચાઉ, અંજાર અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી.
કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં નાના-મોટા આંચકા આવવા સામાન્ય છે, પરંતુ 4.6ની તીવ્રતાનો આંચકો પ્રમાણમાં શક્તિશાળી ગણાય છે. આ આંચકાએ સ્થાનિક લોકોમાં 2001ના ભૂકંપની ભયાનક યાદો તાજી કરી દીધી હતી. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
An earthquake of magnitude 4.4 struck Kachchh, Gujarat, at 4:30 am IST today: National Centre for Seismology pic.twitter.com/2BUK6jIP1I
— Press Trust of India (@PTI_News) December 26, 2025