વડોદરા: શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલી આનંદદીપ સોસાયટીમાં આવેલા શિવલિંગને VMCના એક અધિકારીએ અંગત અદાવતમાં જેસીબી ફેરવી તોડી પાડતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. કોઈ પણ નોટિસ કે પૂર્વ જાણ વગર કરવામાં આવેલી આ કાર્યવાહીથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને સમગ્ર પંથકમાં વાતાવરણ તંગ બન્યું છે.
સોસાયટીના રહીશોએ, ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ દૂર મંદિર સુધી ન જઈ શકે તે માટે ફાળો એકત્રિત કરીને કોમન પ્લોટના એક ખૂણામાં ઓટલો બનાવીને શિવલિંગની સ્થાપના કરી હતી. રહીશોના આક્ષેપ મુજબ, આ જ સોસાયટીમાં રહેતા અને કોર્પોરેશનના પાણી પૂરવઠા વિભાગમાં કામ કરતા અધિકારી કીર્તિ ચાર્પોટે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વગર કોર્પોરેશનનું જેસીબી બોલાવી શિવલિંગ અને ઓટલો તોડી પાડ્યો હતો. ત્યાર બાદ શિવલિંગને નજીકની કેનાલમાં પધરાવી દેવામાં આવ્યું હતું.
સોસાયટીના રહીશોએ કહ્યું, અમે કોમન પ્લોટ સાફ કરી વૃક્ષો વાવ્યાં હતા અને વડીલોની આસ્થા માટે શિવલિંગ મૂક્યું હતું. તેને અચાનક તોડી પડાયું, આવું તો મુઘલોના શાસનમાં થતું હતું. અન્ય એક રહીશે જણાવ્યું કે, સ્થાપનાના માત્ર 4 કલાકમાં જ આ શિવલિંગને ગેરકાયદેસર ગણાવી બપોરના સમયે તોડી પાડવામાં આવ્યું. આ અંગે પોલીસને જાણ કરવા છતાં પોલીસે ફરિયાદ લેવાને બદલે સમાધાન કરવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે.
આ મામલે વિવાદના ઘેરામાં આવેલા VMC અધિકારી કીર્તિ ચાર્પોટે જણાવ્યું કે, 51 મકાનોની સોસાયટીમાંથી 33થી વધુ મકાનોના લોકો આ મંદિરની વિરૂદ્ધમાં હતા. લોકો વિરોધમાં હોવાથી શિવલિંગનો ઓટલો તોડીને શિવલિંગને આસ્થાભેર કેનાલમાં પધરાવ્યું હતું. જો કે, સરકારી જેસીબીનો ઉપયોગ કેમ કર્યો તે અંગે પૂછતા તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો.