અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં બ્યુટી પાર્લરમાં જઇને મહિલાઓને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી દાગીના અને રોકડની ઠગાઈ કરતી બે ઠગબાજ મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી ગ્રાહક બની પાર્લરમાં જતી અને વાતોમાં ભોળવીને માતાજી આવે છે તેમ કહી ધૂણવાનું નાટક કરી ધાર્મિક વિધિના નામે કિંમતી ઘરેણાં પડાવી લેતી હતી.
નરોડા પોલીસના જણાવ્યાં અનુસાર, આ ટોળકીની અટકાયત બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી મહિલાઓ ગ્રાહક બનીને બ્યુટી પાર્લરમાં જતી હતી. વાતચીત દરમિયાન એક મહિલા એવું કહેતી કે બીજી મહિલા ને માતાજી આવે છે અને તે તમારા તમામ દુઃખ દૂર કરી દેશે.
ત્યાર બાદ બીજી મહિલા ધૂણવાનું નાટક કરતી અને વિધિના નામે સોનાના દાગીના કે રોકડ મગાવી નજર ચૂકવીને ચોરી કરી લેતી હતી. નરોડા વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી એક મહિલાના ઘરેણાંની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ મહિલાઓ દેખાતા પોલીસે તપાસ તેજ કરી અને ગાંધીનગરની મીનાબેન ઉર્ફે ટીના વાદી તથા કપડવંજની રૂપલબેન વાદીની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મીનાબેન વિરુદ્ધ અગાઉ પણ રાજ્યભરમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ મહિલાઓ ચોરેલા દાગીના હળદરવાસના સોની વેપારીને ત્યાં વેચતી હતી. પોલીસે વેપારી પાસેથી 18 ગ્રામ સોનાની રણી કબજે કરી છે અને આ કેસમાં સોની વેપારીને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આ બંને મહિલાઓએ શહેરમાં અન્ય કોઈ વિસ્તારમાં કોને કોને આ રીતે શિકાર બનાવ્યા છે તેની તપાસ શરૂ કરી હતી.