રાહુલ ગાંધીનો અમદાવાદમાં લલકાર, ભાજપને નફરતથી નહીં પ્રેમથી હરાવવાનું છે - Gujarat Post

08:22 PM Jul 06, 2024 | gujaratpost

ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલનું આહ્વવાન

ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી, કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશે

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષના રાહુલ ગાંધી અમદાવાદ આવ્યાં છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપની હાર થશે. કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે. આપણે ડરવાનું નથી. ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે. કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી. કૉંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે. અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, અંગ્રેજો સામે કૉંગ્રેસ લડી હતી, RSS નહીં. કૉંગ્રેસમાં નહીં ભાજપમાં ડરની ભાવના છે. નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા ન હતા માગતા. મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા અને જો તેમ થયું હોય તો નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી, વારાણસીમાં મોદીની જીત પાતળી સરસાઈથી થઈ. પંજાનું ચિહ્નનું તમામ ધર્મોમાં સ્થાન છે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર છે.

રાહુલ ગાંધીએ કહ્યું, આઝાદીની લડાઈ ગુજરાતથી શરૂ થઈ હતી. પાલડીમાં કૉંગ્રેસની ઓફિસ તોડી તેમ અમે તેમની સરકાર તોડીશું. ભાજપે   2022ની જેમ નહીં, 2017ની જેમ ચૂંટણી લડીશું. 2017માં કૉંગ્રેસ મજબૂતી સાથે ચૂંટણી લડી હતી, આગામી ત્રણ વર્ષમાં કૉંગ્રેસ ભાજપને હરાવશે.

ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ લલકાર કરતાં કહ્યું, નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે. કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સમગ્ર AICC છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલે આહ્વવાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે.

ભાજપ નેતા દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધી મીડિયામાં ચમકવા આવ્યાં હોવાનો આરોપ લગાવી કહ્યું, રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું. રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે. અનેક જગ્યાએ રાહુલના પુતળાં પણ બાળવામાં આવ્યાં છે.