અમદાવાદઃ અષાઢી બીજે નીકળનારી રથયાત્રાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક જળયાત્રા નીકળી છે. સવારે 8 વાગ્યે નિજ મંદિરથી શરૂ થયેલી આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગંગાપૂજનમાં અનેક ભક્તો હાજર રહ્યાં હતા.
આ ભવ્ય જળયાત્રામાં 14 ગજરાજો, 10 થી વધુ ભજન મંડળીઓ અને 501 ભક્તો અલગ-અલગ ધ્વજ પતાકા સાથે જોડાયા છે. આ ઉપરાંત 1008 સૌભાગ્યવતી મહિલાઓ માથે કળશ ધારણ કરી મંગળ ગીતો ગાતા જળયાત્રાનો પ્રારંભ થયો છે. સાબરમતી નદીના પવિત્ર જળને 108 તાંબાના કળશમાં ભરીને જળયાત્રા નિજ મંદિર પરત ફરશે. ત્યાર બાદ ભગવાન પર મહાજળાભિષેક કરીને મહાઆરતી કરવામાં આવશે.
જળાભિષેક બાદ સવારે 11 વાગ્યે ભગવાન જગન્નાથજી ભક્તોને ગણેશજીના સ્વરૂપમાં એટલે કે ગજવેશમાં દિવ્ય દર્શન આપશે. ધાર્મિક મહોત્સવમાં કાશી અને મથુરાથી પધારેલા સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા છે, જેમની માટે મંદિરમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
જળયાત્રા અને ગજવેશ દર્શન પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે આજે તેમના મોસાળ સરસપુર જવા રવાના થશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રહેશે.