વિશ્વમાં ટ્રેડ અને ટેકનોલોજીને હથિયાર બનાવવામાં આવી રહ્યાં છે, પીએમ મોદીનું ટ્રમ્પ પર નિશાન

10:54 PM Jan 27, 2026 | gujaratpost

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ ભારત મંડપમ ખાતે 'ભારત-EU બિઝનેસ ફોરમ'ને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે કોઈનું નામ લીધા વિના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આજે વિશ્વમાં વેપાર, ટેકનોલોજી અને રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા આ વેપાર કરારને 'નવા યુગના શંખનાદ' તરીકે ઓળખાવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક વેપાર હાલમાં ઉથલપાથલના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ટ્રમ્પ વારંવાર ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની ધમકી આપી રહ્યાં છે, જેની પાછળનો હેતુ ત્યાં રહેલા રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો)નું શોષણ કરવાનો છે.

પીએમ મોદીએ ફોરમમાં જણાવ્યું કે, યુરોપિયન યુનિયનમાં ભારતીય રોકાણ અંદાજે 40 અબજ યુરો સુધી પહોંચી ગયું છે. ભારત અને યુરોપિયન કંપનીઓ વચ્ચે R&D, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ઊંડો સહયોગ છે. આ નવો FTA કરાર ભારતના શ્રમ-સઘન ઉત્પાદનો જેવા કે કાપડ, રત્ન અને આભૂષણો, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોને યુરોપિયન બજારોમાં સરળ પ્રવેશ અપાવશે. આનાથી ખેડૂતો અને માછીમારોને સીધો ફાયદો થશે, કારણ કે ફળો, શાકભાજી અને સીફૂડ માટે નવા અવસરો ખુલશે. IT, શિક્ષણ અને ટ્રેડિશનલ મેડિસિન જેવા ક્ષેત્રોને પણ મોટો લાભ મળશે.

વડાપ્રધાને ઉદ્યોગ જગતને આહવાન કરતા કહ્યું કે, ગ્રીન હાઇડ્રોજનથી લઈને સોલર એનર્જી સુધીના દરેક ક્ષેત્રમાં આપણે સંયુક્ત સંશોધન અને રોકાણ વધારવું જોઈએ. આજે જ્યારે વેપાર અને ખનીજોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે શું આપણો વેપારી સમુદાય ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને ચિપ્સ જેવા ક્ષેત્રોમાં બહારની નિર્ભરતા ઘટાડી શકે? શું આપણે મળીને એક વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર વૈકલ્પિક સપ્લાય ચેઈનનું નિર્માણ કરી શકીએ ?