મલાઇદાર જગ્યાઓ માટે રૂપિયા આપ્યાં અને ભરાઇ ગયા કર્મચારીઓ !
હવે મનગમતું પોસ્ટિંગ પણ નહીં મળે અને પૈસા પણ પાછા નહીં આવે તેવી સ્થિતી !
અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં મલાઇદાર મોબાઇલ સ્કવોર્ડમાં જવા માટે ઉઘરાણાં થઇ ગયા અને નવા જીએસટી કમિશનર બનેલા આઈએએસ અધિકારી આરતી કંવર બધી જ વસ્તુઓ પર વિચારીને નિર્ણય કરી રહ્યાં છે, જેથી ઉઘરાણા કરનારા એક જોઇન્ટ કમિશનર ભરાઇ ગયા છે અથવા તો તેઓ કોઇ નવી ગેમ કરવાની ફિરાકમાં છે, જો કે અમે તમને જણાવવા માંગીએ છીએ કે કંઇ રીતે આ સમગ્ર ખેલ ખેલાતો હતો. આ સરકારી બાબુ વતી મોબાઇલ સ્કવોર્ડમાં બદલી કરાવવા ઇચ્છતા કર્મચારીઓને એક ભાવનગરનો મુસ્લિમ શખ્સ મળવા જતો હતો, જે અત્યારે અમદાવાદના જુહાપુરામાં રહે છે, મોબાઇલ સ્કવોર્ડમાં મલાઇદાર પોસ્ટ હોવાથી અનેક કર્મચારીઓ ત્યાં જવા ફાંફાં મારતા હોય છે અને આ મુસ્લિમ શખ્સે તેના જોઇન્ટ કમિશનર વતી ડિલ કરતો હતો. જે અનેક અધિકારીઓ-કર્મચારીઓને મળીને ડિલ કરતો હતો અને પૈસા ઉઘરાવીને જોઇન્ટ કમિશનરને આપતો હતો.
રૂપિયા આપનારા કર્મચારીઓ સામે પણ તપાસ થશે કે નહીં ?
જોઇન્ટ કમિશનરની ભ્રષ્ટાચારની વાત સામે આવ્યાં બાદ તેના માટે કામ કરતો મુસ્લિમ શખ્સ હાલમાં ઠંડો દેખાઇ રહ્યો છે, જો કે જે બાબુઓએ મલાઇદાર પોસ્ટ માટે રૂપિયા આપ્યાં છે તે હવે ભરાઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે, વેરા ભવનમાં ચર્ચાઓ છે કે હવે શું થશે ? રૂપિયા પાછા આવશે કે પછી પોસ્ટીંગ મળશે ? જો કે પોસ્ટીંગ મળવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે જીએસટી કમિશનર પણ જાણી ગયા છે કે તેમની નીચેના અધિકારીઓ કેવા કેવા ગોટાળા કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. આ મામલે હવે રૂપિયા આપનારાઓ પાસે ચૂપ રહ્યાં સિવાય કોઇ ઉપાય પણ નથી.
અધિકારીઓ દલાલો રાખીને તેમના જ કર્મચારીઓ પાસેથી પૈસા પડાવી રહ્યાં છે
અગાઉ પણ આ જ સિસ્ટમ હતી કે જ્યારે પણ પ્રમોશન અને બદલીની ફાઇલો ઉપર નીચે થાય છે ત્યારે ઉઘરાણાં શરૂ થઇ જતા હતા, એટલે કે અધિકારીઓ તેમના જ વિભાગમાં નીચેના કર્મચારીઓ પાસેથી આ ખંડણી જ લઇ રહ્યાં છે, ઘણા કિસ્સાઓમાં પૈસા જાય તો પણ પૈસા આપનારા કંઇ કરી શકતા નથી, તેઓ પીડિત બનીને ચૂપ થઇ જાય છે અને તેમને ગોળ ગોળ જવાબો જ મળે છે, નહીં કે મલાઇદાર પોસ્ટ. આ જોઇન્ટ કમિનરને દલાલ મારફતે કેટલી અપ્રમાણસર મિલકતો વસાવી છે તેની જો ગુજરાત એસીબી તપાસ કરે તો સરકાર પણ ચોંકી જશે, કારણ કે અગાઉ એક મહિલા અધિકારીને નોટોના બંડલોને બંડલો આપીને તેઓ ખુશ રાખતા હતા અને એ મહિલા અધિકારી પણ ઇમાનદારીનો ઢોંગ કરતા હતા, કદાચ બદલીઓના ઉઘરાંણા પણ આ કારણે જ થયા હશે અને તેમના ઉપર પેલા મહિલા અધિકારીનો તો હાથ નથી.
દલાલો અધિકારીઓને રૂપિયા કમાવી આપે છે અને ઘણા કર્મચારીઓ દુખી થાય છે
આ જોઇન્ટ કમિશનર માટે ઘણા વર્ષોથી કામ કરનારો મુસ્લિમ શખ્સ એવો તો મજબૂત થઇ ગયો છે કે તે પોતાના આકાના કહેવાથી સ્ટેટ જીએસટી વિભાની કોઇ પણ ઓફિસમાં જાય છે અને કોઇ પણ કર્મચારી કે નીચલા અધિકીરીને દમ મારતા પણ અચકાતો નથી, અને પોતાનું કામ પણ કઢાવી લે છે. ઘણા કિસ્સાઓમાં જો જોઇન્ટ કમિશનરનું ધારેલું કામ ન થાય તો અધિકારીઓને ખરાબ જગ્યાએ બદલી કરી નાખવાની અને ઇન્કવાયરી ખોલી નાખવાની ધમકી આપતો હતો, જોવાની વાત એ છે કે જોઇન્ટ કમિશનર વતી કોઇ પ્રાયવેટ દલાલ ગુજરાત સરકારના અધિકારીઓને પણ ધમકાવી શકે છે, સરકારી નોકરી મહામહેનતે મળતી હોય છે અને આવા દલાલો તમારી સામેની ખુરશીમાં બેસીને દમ મારે છે.
બોગસ બિલિંગના ધંધામાં જોઇન્ટ કમિશનરના આ દલાલના રોલની તપાસ થવી જોઇએ
બોગસ બિલિંગના બ્લોક બેંક ખાતાઓ ખોલવા પણ દબાણ કરાતું હશે ?
જોઇન્ટ કમિશનર ખરેખરે માફિયાઓને બચાવી રહ્યાં છે !
ભાવનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં બોગસ બિલિંગના ધંધાને કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે, અધિકારીઓ પૈસા કમાવવા માટે માફિયાઓના પાર્ટનર બની જાય તો પણ નવાઇ નહીં, જો કે આવી તપાસમાં બહુ ઓછા અધિકારીઓ સસ્પેન્ડ થયા છે, તપાસ થવી જોઇએ કે આ જોઇન્ટ કમિશનરે તેમના વિસ્તારની બહાર કોઇ અન્ય અધિકારી કે કર્મચારીને બોગસ બિલિંગનું બ્લોક કરેલું બેંક ખાતું ખોલવા માટે આ મુસ્લિમ શખ્સને કામ સોંપ્યું હતું કે કેમ ? આ શખ્સ કોઇ અધિકારી કે કર્મચારી પાસે જઇને તેમને દમ માર્યો હતો કેમ ? આવા કિસ્સાઓમાં તપાસ ગુજરાત સરકારના નાણાં વિભાગ કે કમિશનરે કરવાની હોય છે તેની જગ્યાએ મીડિયાએ તેમનું આ બાબતે ધ્યાન દોરવું પડી રહ્યું છે.
જોઇન્ટ કમિશનર સામે તપાસ ક્યારે કરશો ?
આઇએએસ અધિકારી આરતી કંવર તો હાલમાં જ સ્ટેટ જીએસટી વિભાગના કમિશનર બન્યાં છે, જો કે તેઓને આ બધા ગોટાળા અને ભ્રષ્ટાચારની ગંધ તો આવી જ ગઇ હશે અને તેની અસર આગામી સમયમાં આવનારી બદલીઓમાં જોવા મળવાની છે, જો કે જોઇન્ટ કમિશનર કક્ષાના વ્યક્તિ કોઇ દલાલ મારફતે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે તે મામલે તપાસ થવી જોઇએ, જે મોબાઇલ નંબરથી આ લોકો ડિલ કરે છે તે ભાવનગરના શખ્સનો નંબર પણ અમારી પાસે છે, દલાલ અને જોઇન્ટ કમિશનર વચ્ચેના વ્યવહારોની તપાસ જો તમે કરો તો આખું ભ્રષ્ટાચારનું નેટવર્ક સામે આવી જાય તેમ છે, અને જો નવા કમિશનર આ મામલે તપાસ નહીં કરે તો આગામી સમયમાં ગુજરાત સરકારનો નાણાં વિભાગ આવા અને સીએમઓ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ કરશે તે નક્કિ છે.