- ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન
- 18 જૂને મતદાન થશે
ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની આગામી ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામો નવા જ છે, જે જરા પણ ચર્ચામાં ન હતા.
ગુજરાત વિધાનસભાના વર્તમાન સમીકરણો જોતાં આ ચારેય બેઠકો પર ભાજપનો વિજય પહેલેથી જ નક્કી માનવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું પ્રચંડ સંખ્યાબળ છે, જેથી ચારેય બેઠકો ભાજપના ફાળે જશે તે સ્પષ્ટ છે.
બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ હોવાથી ચૂંટણીનું ગણિત બિલકુલ તેના પક્ષમાં નથી. આ સંજોગોમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખે તેવી શક્યતા નહિવત છે, જેથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાતની આ ચાર બેઠકો વર્તમાન સાંસદોની મુદત પૂરી થતાં ખાલી પડી રહી છે, જેમાં નીચેના નેતાઓનો સમાવેશ થાય છે. જેમાં રમીલાબેન બારા (ભાજપ), નરહરિ અમીન (ભાજપ), રામ મોકરિયા (ભાજપ) તથા શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ)ના નામ સામેલ છે.